રાહુલ ગાંધીએ સુષ્મા સ્વરાજનો માન્યો આભાર, જાણો શા માટે?
રાહુલ ગાંધીએ સુષ્મા સ્વરાજનો માન્યો આભાર. સુષ્મા સ્વરાજે યુએન ખાતે પોતાના સંબોધનમાં આઇઆઇટી અને આઇઆઇએમનો ઉલ્લેખ કર્યો હતો, એ બદલ રાહુલ ગાંધીએ આભાર માન્યો છે.
સુષ્મા સ્વરાજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાન પર નિશાન સાધતાં અનેક વાતો કહી હતી. સુષ્મા સ્વરાજે પોતાના સંબોધનમાં જે રીતે પાકિસ્તાનની હકીકત વર્ણવી એ બદલ સૌ કોઇ તેમના વખાણ કરી રહ્યાં છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આ માટે તેમના વખાણ કર્યા છે. જો કે, તેમના વખાણમાં વ્યંગ છુપાયેલો જોવા મળે છે. આ અંગે રાહુલ ગાંધીએ એક ટ્વીટ કર્યું હતું અને આ ટ્વીટ ખૂબ વાયરલ થઇ રહ્યું છે.
રાહુલ ગાંધીનું ટ્વીટ
સુષ્મા સ્વરાજે ભારતના આઈઆઈટી અને આઈઆઈએમનો ઉલ્લેખ કરતાં પાકિસ્તાનમાં ફેલાઇ રહેલા આતંકવાદ પર વાણી પ્રહારો કર્યા હતા, જેના વખાણ કરતાં રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું કે, સુષ્માજી, આખરે તમે આઈઆઈટી અને આઈઆઈએમ સ્થાપિત કરવાના કોંગ્રેસના સરકારના મહાન દ્રષ્ટિ અને વારસાને માન્યતા આપી, એ બદલ આભાર. રાહુલ ગાંધીનું આ ટ્વીટ હાલ ખૂબ વાયરલ થઇ રહ્યું છે. કેટલાક રાહુલ ગાંધીના વખાણ કરી રહ્યાં છે, તો કેટલાક તેમની આલોચના પણ કરી રહ્યાં છે.
Sushma ji, thank you for finally recognising Congress governments' great vision and legacy of setting up IITs and IIMs
— Office of RG (@OfficeOfRG) September 24, 2017
શું કહ્યું હતું સુષ્મા સ્વરાજે?
સુષ્મા સ્વરાજે સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાનને એકસાથે આઝાદી મળી. આઝાદી પછી ભારતે દુનિયાને ડૉક્ટર અને એન્જિનિયર્સ આપ્યા, જ્યારે પાકિસ્તાને આતંકવાદીઓ આપ્યા. ભારતે આઈઆઈટી, આઈઆઈએમ જેવા સંસ્થાન બનાવ્યા, જ્યારે પાકિસ્તાને લશ્કર-એ-તોયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો ઊભા કર્યા.