નવી દિલ્હી, 10 મે: ભારતીય જનતા પાર્ટીએ વારાણસીમાં રાહુલ ગાંધીના રોડ શૉ પર વાંધો ઉઠાવ્યો છે. ભાજપા નેતા અરૂણ જેટલીએ શનિવારે રાહુલના રોડ શૉ પર સવાલ ઉઠાવ્યા છે. જેટલીએ જણાવ્યું કે રાહુલ ગાંધીના રોડ શૉને બેનિયાબાગ વિસ્તારથી પસાર થવાની પરવાનગી આપવામાં આવી છે પરંતુ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને ત્યાંથી રેલી કરવા દીધી નહીં. જેટલીએ સવાલ કર્યો કે તે જ વિસ્તારમાં રોડ શૉની પરવાનગી કેવી રીતે આપવામાં આવી.
મીડિયાકર્મીઓ સાથે વાતચીતમાં જેટલીએ જણાવ્યું કે 'સુરક્ષા કારણોનો હવાલો આપીને બેનિયાબાગમાં મોદીની રેલીને પરવાનગી આપવામાં ના આવી. સુરક્ષાનો હવાલો માત્ર મોદી માટે જ આપવામાં આવ્યો જ્યારે અન્ય દળોના નેતાઓને બેનિયાબાગમાં કાર્યક્રમ કરવાની પરવાની આપવામાં આવી.' જેટલીએ ચૂંટણી પંચ પર પણ પ્રહારો કર્યા.
જેટલીએ જણાવ્યું કે 'સુરક્ષા પ્રતિબંધ માત્ર ભાજપ માટે જ છે, અન્યો માટે કેમ નથી? આ ભારતમાં ચૂંટણી પર મોટું કલંક છે. વડાપ્રધાન પદના ઉમેદવારને તેમની જ બેઠક પરથી પ્રચારની પરવાનગી આપવામાં ના આવી.'
અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી વારાણસી બેઠકથી કોંગ્રેસ ઉમેદવાર અજય રાય માટે આજે રોડ શૉ કરી રહ્યા છે. રાહુલના આ રોડ શૉમાં ભારે સંખ્યામાં ભીડ એકઠી થઇ છે. રાહુલના આ રોડ શૉને સફળ બનાવવા માટે કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓએ વારાણસીમાં કેટલાંક દિવસ પહેલાથી જ અડ્ડો જમાવી દીધો હતો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ગુલામ નબી આઝાદ અને કોંગ્રેસ નેતા રાજ બબ્બર વારાણસીમાં હાજર છે.