કોંગ્રેસની 12 રૂપિયાની થાળીમાં ‘અપમાન અને અફસોસ’ની વાનગી
નવી દિલ્હી, 26 જુલાઇઃ પહેલા મનફાવે તેમ અપમાન કરી નાંખવુ અને પછી ખબર પડે કે સામેવાળાને અપમાનિત કરવામાં આવ્યાનો મુદ્દો વધુ ચગી રહ્યો છે, ત્યારે પોતાના દ્વારા કહેવામાં આવેલી વાતનો અફસોસ વ્યક્ત કરવો એ કોંગ્રેસની રાજનેતાઓના રાજકારણનો ભાગ બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. કોંગ્રેસના પ્રવક્તા રાજ બબ્બરે 12 રૂપિયામાં થાળી અંગેની પોતાની ટીપ્પણી અંગે ખેદ વ્યક્ત કર્યો છે.
યોજના પંચ દ્વારા ગરીબીની રેખા જણાવવામાં આવ્યા બાદ વિવિધ પક્ષો અને રાજકીય તજજ્ઞો તથા મીડિયા દ્વારા આ વાતને ઘણી ઉછાળવામાં આવી હતી. યોજના પંચ દ્વારા કરવામાં આવેલા આ નિર્ણયને બચાવવા માટે અનેક કોંગ્રેસી નેતાઓ મેદાનમાં કૂદી પડ્યાં હતા અને મન ફાવે તેમ નિવેદનો કરવામાં લાગ્યા હતા. જેમા કોઇએ પાંચ રૂપિયામાં તો કોઇકે 12 રૂપિયામાં ભરપેટ ભોજન મળી શકે છે તેવા બફાટ કર્યા હતા.
બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ પોતાના નેતાઓના આ પ્રકારના નિવેદન અંગે હાથ અધ્ધર કરી લીધા છે. કોંગ્રેસ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના પ્રમુખ અજય માકણે ટ્વિટ કર્યું કે, અમે કેટલાક નેતાઓના 15 રૂપિયા અને પાંચ રૂપિયાના નિવેદન સાથે સહમત નથી.