મુંબઇ, 16 એપ્રિલ : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ ભાજપની પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને સમર્થન આપવાનું જણાવીને ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહ પર નિશાન તાક્યું છે. રાજ ઠાકરેએ રાજનાથ સિંહને એ વાતનો કડકડતો જવાબ આપ્યો છે જેમાં રાજનાથે માંગ્ય વગર નરેન્દ્ર મોદીને સમર્થન આપવાની રાજ ઠાકરેની વાત પર ટીકા કરી હતી.
રાજ ઠાકરે એટલા માટે ગુસ્સામાં છે કારણ કે રાજનાથ સિંહે એમ કહ્યું હતું કે રાજ શિવસેના, ભાજપ કે આરપીઆઇ યુતિમાં સામેલ થયા વિના મોદીના નામે વોટ માંગી રહ્યા છે.
રાજ ઠાકરેએ મંગળવારે પુનામાં એક ચૂંટણી સભાને સંબોધતા જણાવ્યું કે 'મેં વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીને મારું સમર્થન આપ્યું છે. રાજનાથને નહીં. મોદી આ મુદ્દે ચૂપ છે તો આપ શા માટે આ મુદ્દે બોલી રહ્યા છો?' આ બોલચાલી એવા સમયે થઇ રહી છે જ્યારે શનિવારે પુના ખાતેની રેલીમાં નરેન્દ્ર મોદીએ મનસે દ્વારા આપવામાં આવી રહેલા સમર્થન અંગે એક શબ્દ ઉચ્ચાર્યો ન હતો.
આ સાથે રાજ ઠાકરેએ ભાજપના નેતા ગોપીનાથ મુંડેને પોતાનું સમર્થન આપવાની વાત જાહેર કરી હતી. મુંડે મહારાષ્ટ્રની બીડ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પર 17 એપ્રિલના રોજ ચૂંટણી યોજાવાની છે.