રાજીવ ગાંધી હત્યા કેસ : દોષિતોના પરિવાર નિરાશ
નવી દિલ્હી, 25 એપ્રિલ : પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના દોષિતોની સજા માફ કરવાના મુદ્દાને સુપ્રીમ કોર્ટે બંધારણિય સમિતીને સોંપી દેતા દોષિતોના પરિવારને નિરાશા સાંપડી છે. તેઓ ચુકાદો પોતાના પક્ષમાં આવશે તેની રાહ જોતા હતા.
આ અંગે જી પેરારીવલનના માતા અર્પુથમ્મલની માતાએ પ્રતિક્રિયા આપી કે હું શું કહું તે જાણતી નથી. તેઓ પોતાના દીકરાને જેલની બહાર જોવા માટે લાંબી કાયદાકીય લડાઇ લડી રહ્યા છે. તેમણે જણાવ્યું કે હું ખૂબ ઉત્સુકતાથી ચુકાદાની રાહ જોઇ રહી હતી. મેં વિચાર્યું હતું કે હું આપ લોકોને ખુશીથી મળીશ. અમે 23 વર્ષ લડાઇ લડી ચૂક્યા છીએ. હું નથી જાણતી કે મારે ક્યાં સુધી સહન કરવું પડશે. પેરારીવલનના સંબંધી પી લીલાએ જણાવ્યું કે તે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી ખૂબ નિરાશ છે.
આ મુદ્દે ડીએમકે નેતા સેલ્વાગણપતિએ જણાવ્યું કે આ કેસમાં કોઇ બંધારણીય બાબત જોડાયેલી ન હતી, આમ થતાં શા માટે તેને બંધારણીય પીઠને સોંપવામાં આવ્યો તેનું કારણ મને સમજાતું નથી. સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવવા જેવો હતો. આ કેસ અલગ છે. કાયદો બધા માટે બરાબર છે.
ઉલ્લેખનીય છે કે તમિલનાડુ સરકારે ગત 19 ફેબ્રુઆરીએ રાજીવ ગાંધી હત્યાના દોષિતોને છોડી દેવાના નિર્ણયની જાહેરાત કરી હતી. તેમના આ નિર્ણયની બીજા જ દિવસે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેના પર સુપ્રીમે સ્ટે મુક્યો હતો.