રાજનાથ સિંહ નરેન્દ્ર મોદી માટે માંગશે યુએસ વિઝા
નવી દિલ્હી, 22 જુલાઇ : ભાજપની ચૂંટણી પ્રચાર સમિતીના અધ્યક્ષ બન્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ માટેના ભાજપના અઘોષિત ઉમેદવાર બની ગયા છે. નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને જોતા હવે ભાજપ નરેન્દ્ર મોદીની સ્વીકાર્યતા વધારાવાના પગલાં ભરવામાં લાગી ગઇ છે. આ માટે અમેરિકાની મુલાકાતે ગયેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે જણાવ્યું કે તેઓ વૉશિંગ્ટનમાં નરેન્દ્ર મોદીને વિઝા આપવા સામે લાગેલા પ્રતિબંધને દૂર કરવા માટે અમેરિકન સત્તાવાળાઓ સાથે વાત કરશે.
વાસ્તવમાં વર્ષ 2002ના ગુજરાત રમખાણો બાદ માનવઅધિકાર પંચે મોદીને દોષિત ગણીને અમેરિકાએ તેમને વિઝા આપવાનો ઇનકાર કરી દીધો હતો. હવે રાજનાથ અને નરેન્દ્ર મોદીની નિકટતા જગજાહેર છે. આ સંબંધને કારણે તેઓ નરેન્દ્ર મોદી માટે મહત્તમ સ્વીકાર્યતા એકત્ર કરવામાં વ્યસ્ત છે.
આ માટે ભાજપે માત્ર રાષ્ટ્રીય સ્તરે જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે નરેન્દ્ર મોદી માટે મહત્તમ સમર્થન એકત્ર કરવાનું બિડું ઝડપી લીધું છે. આ માટે જ રાજનાથ સિંહ અમેરિકન સત્તાવાળાઓ પાસેથી નરેન્દ્ર મોદી માટે વિઝા પ્રતિબંધ દૂર કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જ ફોલિયોએ નરેન્દ્ર મોદી સાથે નવા સંબંધોની શરૂઆત કરવાની જરૂરિયાત ગણાવીને તેમને વિઝા આપવાનું સમર્થન કર્યું હતું. થોડા દિવસ પહેલા પણ અમેરિકન સાંસદોના એક પ્રતિનિધિ મંડળે ગુજરાતની મુલાકાત લઇને મોદીના વહીવટની પ્રસંશા કરી હતી. તેમણે પોતાના તરફથી નરેન્દ્ર મોદીને અમેરિકા આમંત્રિત પણ કર્યા હતા.