રાજ્યસભામાં ભાજપે કરી સેંચુરી પાર, 101 સાંસદો સાથે તોડ્યો 3 દશકનો આ રેકૉર્ડ, નૉર્થ-ઈસ્ટમાંથી કોંગ્રેસ સાફ
રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટીએ રાજીવ ગાંધીના કાર્યકાળ બાદથી પહેલી વાર 100 સાંસદોની સંખ્યાને પાર કરવામાં સફળતા મેળવી છે.
નવી દિલ્લીઃ રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટીએ રાજીવ ગાંધીના કાર્યકાળ બાદથી પહેલી વાર 100 સાંસદોની સંખ્યાને પાર કરવામાં સફળતા મેળવી છે. આ પહેલા આ રેકૉર્ડ માત્ર કોંગ્રેસ પાસે હતો. ગુરુવારે થયેલ રાજ્યસભા ચૂંટણી બાદ રાજ્યસભામાં ભાજપના સાંસદોની સંખ્યા 97થી વધીને 101 થઈ ગઈ છે. કોંગ્રેસ માટે આ ચૂંટણી પરિણામ પાંચ રાજ્યોમાં મળેલી કારમી હારની જ આગલી કડી છે જેના કારણે આ પાર્ટી હવે ઉપલા ગૃહમાં મુખ્ય વિપક્ષી દળ હોવાનો દરજ્જો ખતમ થવા તરફ આગળ વધી રહી છે. હજુ પાર્ટીએ પોતાના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગેને વિપક્ષ બનાવી રાખ્યા છે પરંતુ કદાચ આવનારી રાજ્યસભા ચૂંટણીમાં પાર્ટીની સ્થિતિ અહીં પણ લોકસભાવાળી થઈ જશે.
રાજ્યસભામાં ભાજપના 101 સાંસદ
245 સભ્યોવાળી રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટીએ પહેલી વાર 100નો આંકડો પાર કરી લીધો છે અને હવે ઉપલા ગૃહમાં તેના કુલ સાંસદોની સંખ્યા 101 થઈ ચૂકી છે. અત્યાર સુધી સંસદમાં સત્તાધારી દળ પાસે 97 સાંસદ હતા પરંતુ તેને ગુરુવારે સંપન્ન થયેલ રાજ્યસભા ચૂંટણીમાં વધુ 4 સીટો મળી છે. આ સફળતા સાથે 1988 બાદ એ પહેલો મોકો છે જ્યારે કોઈ પણ પાર્ટીએ રાજ્યસભામાં સાંસદોની સેંચુરી મારી હોય. નોંધનીય છે કે 1988માં પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની સરકાર હતી અને એ વખતે દેશની સત્તા પર માત્ર કોંગ્રેસની જ બોલબાલા હતી.
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે સરળ બન્યો ભાજપનો રસ્તો
ગુરુવારે રાજ્યસભાની 13 સીટો માટે ચૂંટણી થઈ છે જેમાંથી ભાજપને આ ચાર સીટો મળી છે. આસામની બેમાંથી એક સીટ ભાજપના સહયોગી યુનાઈટેડ પીપલ્સ પાર્ટી લિબરલ(યુપીએલ)ને મળી છે. ભાજપને આ સીટો ઉત્તર-પૂર્વના ત્રણ રાજ્યો આસામ, ત્રિપુરા અને નાગાલેન્ડમાંથી મળી છે. રાજ્યસભામાં ભાજપને મળેલી આ સફળતા આ વર્ષે ઓગસ્ટમાં થનાર ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષ પર ભારે પડશે અને એનડીએને પોતાના ઉમેદવારને ઉપરાષ્ટ્રપતિ ચૂંટવામાં મુશ્કેલી નહિ પડે.
ઉત્તર-પૂર્વ રાજ્યસભામાં કોંગ્રેસ સાફ
ગુરુવારે આવેલા પરિણામોની અસર એ થઈ છે કે ઉત્તર-પૂર્વથી રાજ્યસભામાં કોંગ્રેસ સંપૂર્ણપણે સાફ થઈ ગયુ છે. ભાજપે ત્રિપુરાની એકમાત્ર સીટ પોતાના દમ પર જીતી છે. નાગાલેન્ડની સીટ પર પાર્ટીના પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ફેંગનોન કોન્યાક બિનહરીફ ચૂંટાયા છે. તે રાજ્યસભામાં જતા રાજ્યના પહેલા મહિલા છે. આસામના કોંગ્રેસના બંને રાજ્યસભા સાંસદો રિપુન બોરા અને રાની નારાહનો કાર્યકાળ 2 એપ્રિલે ખતમ થઈ રહ્યો છે અને આમાંથી એક પર ભાજપ અને બીજા પર તેની સહયોગી પાર્ટી યુપીપીએલના ઉમેદવારને જીત મળી છે. કોંગ્રેસે સીટિંગ સાંસદ રિપુન બોરાને જ વિપક્ષના કૉમન ઉમેદવાર બનાવ્યા હતા પરંતુ તેમછતાં રાહુલ ગાંધીના નજીક ગણાતા નેતાને હારનો સામનો કરવો પડ્યો છે. ઉત્તર-પૂર્વની રાજ્યસભાની 14 સીટો છે જેમાંથી હવે એનડીએ પાસે 13 અને આસામની એક સીટ પર અપક્ષ સાંસદનો કબ્જો છે. નાગાલેન્ડની સીટ પહેલા ભાજપની સહયોગી એનપીએફ પાસે હતી અને ત્રિપુરામાં તેણે સીપીએમને હરાવીને જીત નોંધાવી છે.
રાજ્યસભામાં કોંગ્રેસના બચ્યા માત્ર 28 સભ્યો
ઉલ્લેખનીય છે કે પંજાબ વિધાનસભામાં ભારે બહુમત લાવ્યા બાદ આમ આદમી પાર્ટી ત્યાંની બધી પાંચ રાજ્યસભા સીટો જીતી ચૂકી છે. આ સાથે ઉપલા ગૃહમાં અરવિંદ કેજરીવાલની પાર્ટીના સભ્યોનો આંકડો 3થી વધીને 8 થઈ ગયો છે. જ્યારે આ ચૂંટણી બાદ કોંગ્રેસનો આંકડો 5થી ઘટી ગયો છે. કોંગ્રેસ પાસે હજુ 33 સાંસદ રાજ્યસભામાં છે. આ ચૂંટણી બાદ તેની સંખ્યા માત્ર 28 રહી ગઈ છે.