સરદાર પટેલ મુદ્દે મનીષ તિવારી પર સંઘનો વળતો પ્રહાર
નવી દિલ્હી, 30 ઓક્ટોબર : ગુજરાતના અમદાવાદમાં નરેન્દ્ર મોદીએ કરેલા નિવેદન કે કાશ... સરદાર સાહેબ દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા હોત તો દેશની તસવીર આજે જુદી હોત પર કોંગ્રેસના કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન મનીષ તિવારીએ વળતો જવાબ આપતા એમ જણાવ્યું હતું કે જો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પટેલેને આપેલા વચનનું પાલન કર્યું હોત તો વર્ષ 2013માં ભાજપના પીએમ પદના ઉમેદવાર કોઇ બીજા નેતા હોત. આ મુદ્દે આરએસએસના નેતાઓ ઉકળી ઉઠ્યા છે. આ વિવાદમાં તિવારી પર વળતો પ્રહાર કરતા સંઘે જણાવ્યું છે કે સરદાર પટેલે જવાહરલાલ નહેરુના દબાણમાં આવીને સંઘ પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યાર બાદ 11 મહિના પછી તેમણે આ પ્રતિબંધ ઉઠાવી લીધો હતો.
નોંધનીય છે કે ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આક્ષેપ અને પ્રતિઆક્ષેપનું પ્રમાણ વધી રહ્યું છે. જેના પગલે બંને પાર્ટીઓ ઇતિહાસમાંથી મુદ્દાઓ ઉખાડીને એકબીજાને નીચા જોવડાવા માટેનો પ્રયત્ન કરી રહી છે.

વર્તમાન સમયમાં લોહપુરુષનું બિરુદ પામેલા અને ભારતને અખંડ રાષ્ટ્ર બનાવનારા સરદાર વલ્લભભાઇ પટેલ પર પોતાના હકને દર્શાવવા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે યુદ્ધ છેડાયું છે. આ વિવાદ અમદાવાદમાં 29 ઓક્ટોબરે સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક સંગ્રહાલયના ઉદઘાટન સમયે પણ ઉભો થયો હતો.
આ વિવાદના જવાબમાં તિવારીને જડબાતોડ જવાબ આપતા સંઘના નેતા રામ માધવે જણાવ્યું છે કે સ્વયં સરદાર વલ્લભભાઇ પટેલે જણાવ્યું હતું કે ગાંધીજીની હત્યામાં સંઘની વિરુદ્ધ કોઇ પુરાવો નથી. પટેલે નહેરુના દબાણમાં આવીને સંઘ પર પ્રતિબંધ લગાવ્યો હતો અને 11 મહિનામાં જ તેનો પાછો ઉઠાવી લીધો હતો.
મહત્વની બાબત એ પણ છે કે સંઘે પહેલીવાર નિવેદન આપીને જણાવ્યું છે કે પટેલ કોઇ એક પાર્ટીની સંપત્તિ નથી. ઉલ્લેખનીય છે કે મંગળવારે વડાપ્રધાન મનમોહન સિંહે અમદાવાદમાં 29 ઓક્ટોબરે સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક સંગ્રહાલયના પોતાના ઉદઘાટન ભાષણમાં જણાવ્યું હતું કે મને ગર્વ છે કે હું એ પાર્ટીનો સભ્ય છું જેના સ્થાપક સભ્યો પૈકી એક સરદાર પટેલ હતા.












Click it and Unblock the Notifications
