"કેજરીવાલે છળ-કપટનું ચક્રવ્યૂહ રચ્યું છે, હું એ તોડીશ.."
આપ પાર્ટીના નેતા કપિલ મિશ્રાએ અરવિંદ કેજરીવાલ પર ગંભીર આરોપો મુક્યા બાદ કેજરીવાલની સરકારે 'સત્યની જીત'ના એલાન સાથે વિધાનસભાનું એક દિવસનું વિશેષ સત્ર બોલાવ્યું છે.
દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર 2 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ મુકનાર કપિલ મિશ્રા એ મંગળવારે સવારે પત્રકાર પરિશદ બોલાવી હતી, જેમાં તેમણે તેમની પાસે કેજરીવાલ વિરુદ્ધ સગડ પુરાવા હોવાની વાત કરી હતી. તો બીજી બાજુ અરવિંદ કેજરીવાલની સરકારે 'સત્યની જીત'ની ઘોષણા સાથે વિધાનસભાનું એક દિવસનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી છે.
કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ FIR
પત્રકાર પરિષદમાં કપિલ મિશ્રાએ કહ્યું કે, 'આજે હું આ તમામ પુરાવા સીબીઆઇને સોંપીશ. હું સીબીઆઇ સાથે મળીને અરવિંદ કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ એઇઆઇઆર નોંધાવીશ.' આ પહેલા તેમણે વધુ એક ખુલાસો કરવાની જાહેરાત કરી છે. કેજરીવાલની સરકારે આ મામલે વિધાનસભામાં એક દિવસનું વિશેષ સત્ર બોલાવ્યું છે, આ અંગે કપિલે કહ્યું કે, 'હું તમારો દરેક દાંવ સમજી ચૂક્યો છું, પરંતુ માફ કરજો કેજરીવાલ સર, હું તમારી પાસેથી જ લડતા શીખ્યો છું અને હવે અટકવાનો નથી.'
વિધાનસભામાંથી કાઢવાનો પ્રયત્ન
કપિલ મિશ્રાએ કહ્યું કે, 'મને ખબર પડી છે કે આપ પાર્ટી મને વિધાનસભામાંથી કાઢવાનો પ્રયત્ન કરી રહી છે. હું તેમને ખુલ્લો પડકાર આપું છું, રાજીનામું આપી દો અને દિલ્હીની કોઇ પણ બેઠક પરથી ચૂંટણી લડીને બતાવો. અરવિંદજી, મને ખબર છે કે જો એ દિવસે મેં એસીબીને પત્ર ન લખ્યો હોત, તો તમે મને મંત્રી મંડળમાંથી બરખાસ્ત ન કર્યો હોત. તમે છળ, કપટ અને જૂઠ્ઠાણાંનું ચક્રવ્યૂહ રચ્યું છે, જેને હું એકલો તોડવા નીકળ્યો છું.'
અરવિંદ કેજરીવાલ પ્રત્યે સન્માન
કપિલ મિશ્રાએ અહીં અરવિંદ કેજરીવાલ પ્રત્યે સન્માન પણ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું, 'જે ગુરૂ પાસે મેં ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઇના પાઠ ભણ્યા, આજે તેમની વિરુદ્ધ જ એફઆઇઆર નોંધાવવા જઇ રહ્યો છું. હું ભાવુક છું, તમારી પાસે માફી માંગુ છું.'
કેજરીવાલે કર્યું હતું ટ્વીટ
કપિલ મિશ્રાએ મુકેલ ભ્રષ્ટાચાર અને લાંચના ગંભીર આરોપો સામે ચુપ્પી સાધનાર કેજરીવાલે આખરે સોમવારે આ મામલે જવાબ આપ્યો હતો. તેમણે આ અંગે ટ્વીટ કરી જવાબ આપ્યો છે. તેમણે લખ્યું છે, સત્યનો વિજય થશે અને આની શરૂઆત કાલે દિલ્હી વિધાનસભાના વિશેષ સત્રથી થશે. કેજરીવાલે આજે એટલે કે મંગળવારના રોજ દિલ્હી વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે. તેમના ટ્વીટ પરથી સ્પષ્ટ છે કે, તેઓ આ આરોપો અંગે વધારે ચિંતાતુર નથી.
{promotion-urls}