આજે ઈડી સામે હાજર થશે સંજય રાઉત, શિવસેનાના કાર્યકર્તાઓને કરી આ અપીલ
શિવસેના નેતા સંજય રાઉત આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓફિસમાં હાજર થશે.
મુંબઈઃ શિવસેના નેતા સંજય રાઉત આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓફિસમાં હાજર થશે. ઈડીએ તેમને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા હતા. ત્યારબાદ સંજય રાઉત આજે ઈડીની ઓફિસે પહોંચશે. ઈડીની ઓફિસ પહોંચતા પહેલા સંજય રાઉતે ટ્વિટ કરીને પાર્ટી કાર્યકર્તાઓને ઈડીની ઓફિસની બહાર એકઠા ન થવાની અપીલ કરી છે. રાઉતે ટ્વીટ કરીને લખ્યું કે, હું આજે બપોરે 12 વાગ્યે ઈડી સમક્ષ હાજર થવાનો છુ. મને જે સમન્સ મોકલવામાં આવ્યા છે તેનુ હું સન્માન કરુ છુ. તપાસ એજન્સીને સહકાર આપવો એ મારી ફરજ છે. તેથી હું શિવસેનાના કાર્યકરોને ઈડી ઓફિસ સામે એકઠા ન થવાની અપીલ કરુ છુ.
સૂત્રોનુ માનીએ તો ઈડી આજે સંજય રાઉતને બેનામી સંપત્તિ અંગે સવાલ પૂછી શકે છે. ઈડીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ કે જો તે સમન્સ પછી હાજર નહિ થાય તો તેને તપાસમાં અસહકાર ગણવામાં આવશે. એપ્રિલમાં ઈડીએ સંજય રાઉતની પત્ની વર્ષાના નામે મુંબઈના દાદરમાં શિવસેના નેતાનો ફ્લેટ જપ્ત કર્યો હતો. આ સિવાય ઈડીએ અલીબાગમાં 8 ફ્લેટ પણ જપ્ત કર્યા છે. જેની કુલ કિંમત લગભગ 11 કરોડ રૂપિયા છે. આ વર્ષની શરૂઆતમાં ધરપકડ કરાયેલા સંજય રાઉતના નજીકના સાથી પ્રવીણ રાઉત હજુ પણ ન્યાયિક કસ્ટડીમાં છે.
પ્રવીણ રાઉત વિશે વાત કરીએ તો તેઓ ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર પણ હતા. તેમને સેટલમેન્ટના વિકાસ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. તેને રિડેવલપ કરવાને બદલે વસાહતના લોકોને ફ્લેટ આપી દીધા. અહેવાલ મુજબ કંપનીએ નવ અલગ-અલગ બિલ્ડરોને વિકાસ અધિકારો આપ્યા અને તેના બદલે 901 કરોડ રૂપિયા એકત્ર કર્યા. ઈડીએ દાવો કર્યો છે કે આ કેસમાં મની લોન્ડરિંગ થઈ છે. જેના પગલે 2018માં FIR નોંધવામાં આવી હતી.