સુપ્રિમ કોર્ટનો ચુકાદો, શશિકલા નહીં બની શકે CM
આવકથી વધુ સંપત્તિના કેસમાં સુપ્રિમ કોર્ટે શશિકલાને દોષીત જાહેર કર્યા. શશિકલા નહીં બની શકે તમિલનાડુના મુખ્યમંત્રી.
તમિલનાડુમાં ચાલી રહેલા રાજકાણીય દંગલ વચ્ચે એઆઇએડીએમકે ના મહાસચિવ શશિકલા પર ચાલતા આવકથી વધુ સંપત્તિના કેસમાં મંગળવારે સવારે સુપ્રિમ કોર્ટે પોતાનો ચૂકાદો આપ્યો છે. આ મામલામાં જયલલિતા અને શશિકલા સાથે તેમના અન્ય અન્ય બે સંબંધીઓ વી.એ.સુધારન અને ઇલાવર્સીનું નામ પણ શામેલ હતું, જેમને કર્ણાટક હાઇકોર્ટમાં દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આરોપી જયલલિતાનું નિધન થઇ ચૂક્યું છે. સુપ્રિમ કોર્ટે અન્ય ત્રણ આરોપીઓને સજા ફટકારી દંડ ભરવાનો આદેશ આપ્યો છે.
આ કેસમાં શશિકલાને દોષીત જાહેર કરતાં સુપ્રિમ કોર્ટે 4 વર્ષની સજા ફટકારી છે અને સાથે જ રૂપિયા 10 કરોડનો દંડ ભરવાનો આદેશ આપ્યો છે. 6 વર્ષ સુધી શશિકલા ચૂંટણી નહીં લડી શકે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા સમયથી શશિકલા અને પન્નીરસેલ્વમ વચ્ચે તમિલનાડુના મુખ્યમંત્રી પદને લઇને રાજકારણીય યુદ્ધ ચાલતું હતું. હવે સુપ્રિમ કોર્ટના ચૂકાદાથી આ જંગ પર ઓચિંતુ પૂર્ણવિરામ મુકાયું છે. શશિકલા દોષીત જાહેર થતાં તેઓ હવે તમિલનાડુના મુખ્યમંત્રી નહીં બની શકે.
અહીં વાંચો - કોણ છે શશિકલા નટરાજન? જેને મળી જયલલિતાની ગાદી
ન્યાયાધીશ પી.સી.ઘોષ અને અમિતાવ રૉયની બેન્ચે 21 વર્ષ જૂના આ કેસ પર મંગળવારની સવારે લગભગ 10.30 વાગ્યે ચૂકાદો આપ્યો હતો. આ કેસમાં શશિકલાને દોષીત જાહેર કરવામાં આવ્યા છે, આ કારણે હવે તેઓ તમિલનાડુના મુખ્યમંત્રી નહીં બની શકે અને સાથે જ લગભગ 10 વર્ષ સુધી રાજકારણમાં સક્રિય નહીં થઇ શકે.
શું હતો કેસ?
જયલલિતા પર વર્ષ 1991થી વર્ષ 1996ની વચ્ચે તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન આવકથી વધુ 66 કરોડની સંપત્તિ ભેગી કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જયલલિતા પર આરોપ હતો કે તેમણે શશિકલા સાથે મળીને 32 એવી કંપનીઓ બનાવી હતી, જેનો કોઇ બિઝનેસ નહોતો. વર્ષ 1996માં તત્કાલિન જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કેસ દાખલ કરતાં આરોપ લગાવ્યો હતો કે, જયલલિતાએ પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન આવકથી વધુ 66 કરોડની સંપત્તિ ભેગી કરી છે. બેંગ્લુરૂની અદાલતે આ મામલે ચારેય આરોપીઓને દોષી જાહેર કરી 100 કરોડ રૂપિયાનો દંડ અને 4 વર્ષની જેલની સજા ફટકારી હતી. જો કે, કર્ણાટક હાઇકોર્ટે તેમને દોષમુક્ત જાહેર કર્યા હતા.
અહીં વાંચો - જયલલિતાની રોયલ લાઇફસ્ટાઇલ;10000 સાડી, 750 ચંપલ, સોનાના હાર અને ઘણું બધું...
વકીલે કહ્યું, આ છે ઐતિહાસિક ચૂકાદો
ચૂકાદો આવ્યા બાદ પ્રોસિક્યૂશન વકીલે કહ્યું કે, 'ભ્રષ્ટાચાર મુક્ત ભારત માટે આ નિર્ણય ખૂબ મહત્વનો અને ઉત્તમ છે. આજનો દિવસ યાદ રાખવામાં આશે. જયલલિતા અને શશિકલા સહિત ચાર આરોપીઓને દોષી જાહેર કરવામાં આવ્યા છે. સુપ્રિમ કોર્ટના ચૂકાદાએ સાફ કરી દીધું છે કે, કોઇ પણ પરિસ્થિતિમાં ભ્રષ્ટાચાર સાંખી નહીં લેવાય. આ એક ઐતિહાસિક ચૂકાદો છે.'