બોધગયા હુમલા બાદ વધારવામાં આવી દલાઇ લામાની સુરક્ષા
દલાઇ લામા મહેલ અને મંદિર ઉપરાંત તેમના અંગત કાર્યાલયની સુરક્ષા વધારી દેવામાં આવી છે. કેન્દ્રીય તિબ્બતી વહિવટી તંત્રના સુરક્ષા વિભાગના સચિવ ન્ગોદુપ દોરજીએ જણાવ્યું હતું કે દલાઇ લામાના કાર્યાલયની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને બૌદ્ધ ધર્મના ગુરૂના અંગત સુરક્ષાકર્મીઓને આદેશ આપી દેવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે તિબ્બતી આદ્યાત્મિક ગુરૂ દલાઇ લામાને ભારત સરકારે ઝેડ પ્લસ સુરક્ષા આપી છે. તેમછતાં હુમલાની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં તેમની ઓફિસ અને સુગલગખાંગ મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
ધર્મગુરૂ દલાઇ લામા શાંતિ અને બૌદ્ધ ધર્મના પ્રચારક છે. ધર્મના પ્રચાર માટે દેશ-વિદેશના પ્રવાસ પર રહે છે. દલાઇ લામા બોધગયાના નિયમિત યાત્રી રહ્યાં છે. ગત વખતે 1 થી 10 જાન્યુઆરી 2012 વચ્ચે તે અહી કાલચક્ર સમારોહમાં સામેલ થયા હતા અને વિશ્વ શાંતિની પ્રાર્થના કરી હતી.