સંઘ ઉવાચ્ : PM પદના ઉમેદવારની પસંદગી તો સર્વસંમતિથી જ
આ બેઠકમાં થયેલી ચર્ચા અંગે સૂત્રોના જણાવ્યા અનુસાર ભાગવતે નારાજ અડવાણીને એવો વિશ્વાસ અપાવ્યો છે કે નરેન્દ્ર મોદીને ભલે પક્ષની ચૂંટણી પ્રચાર સમિતિના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, પરંતુ લોકસભાની આગામી ચૂંટણી તો સામુહિક નેતૃત્વના સિદ્ધાંત ઉપર જ લડવામાં આવશે. વડા પ્રધાન પદ માટે ભાજપના ઉમેદવારની પસંદગી સર્વસંમતિથી જ કરાશે.
ઉલ્લેખનીય છે કે ભાજપમાં પ્રધાનમંત્રી પદની ઉમેદવારીને લઇને હોબાળો મચેલો છે. ભાજપમાં એક વર્ગ લોકસભા ચૂંટણી 2014 માટે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે રજૂ કરવા માગે છે. બીજો એક વર્ગ અડવાણીના સમર્થનમાં છે. ભાજપનો મોટો વર્ગ નરેન્દ્ર મોદીની તરફેણમાં હોવાથી નારાજ અડવાણીએ ગોવાની કારોબારી બેઠકમાં હાજરી આપી ન હતી. આ ઉપરાંત ગોવાની બેઠક બાદ પાર્ટીના ઉચ્ચ હોદ્દાઓ પરથી રાજીનામું ધરી દીધું હતું.
ટીકાકારોના માનવા પ્રમાણે અડવાણી પોતે પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનવા માંગે છે, પરંતુ તેમને પાર્ટી અને સંઘ તરફથી કોઇ ખાસ સમર્થન નથી મળી રહ્યું. બીજેપી કાર્યકર્તાઓમાં પણ તેમના નામને લઇને જોશ દેખાઇ રહ્યો નથી. ભાજપે વર્ષ 2009ની ચૂંટણી અડવાણીના નેતૃત્વમાં લડી હતી, પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો.
હવે પ્રશ્ન એ છે કે નાગપુરની બેઠકમાં સંઘે આપેલા જવાબમાં ફરી એકવાર અડવાણીને ગાજર લટકાવીને મનાવી લેવામાં આવ્યા છે કે તેમને ખરેખર વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં સંઘની રસ છે તે આગામી સમય બતાવશે.