બળાત્કારના કેસમાં પોલીસની સંવેદનશીલતા સૌથી મહત્વની : કોર્ટ
કોર્ટે જણાવ્યું કે "શું લોકો ગાંડા બની રહ્યા છે અને માનસિક સંતુલન ગુમાવી રહ્યા છે? પાંચ વર્ષની એક બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું. આવા કિસ્સાઓમાં જાગૃતિ લાવવાની જરૂર છે. દિલ્હીના ગાંધીનગર વિસ્તારમાં એક બિલ્ડિંગના નીચેના માળે એક ઓરડામાં પાંચ વર્ષની બાળકીને ખાવા પીવાનું આપ્યા વિના બે દિવસ સુધી ગોંધી રાખવામાં આવી. તેની સાથે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો. બાળકીનો પરિવાર પણ આ ઇમારતમાં રહે છે."
કોર્ટે જણાવ્યું કે "હવે આપણે એ જોવાનું છે કે આવા પ્રકારના અપરાધોને કેવી રીતે રોકી શકાય. આપણે તેના મૂળ કારણની તપાસ કરવાની છે. દિલ્હીમાં બની રહેલા અપરાધોથી દરેક વ્યક્તિ વ્યથિત છે. અહીં આ પ્રકારના અપરાધ ખૂબ ઝડપથી વધી રહ્યા છે."
કોર્ટે સરકારને વિવિધ રાજ્યોમાંથી આવનારા લોકોની તપાસ કરવાનો નિર્દેશ આપતા કહ્યું કે "બળાત્કારના મોટા ભાગના કેસમાં આરોપી પાડોશી રાજ્યો સાથે સંબંધ ધરાવતા હોય છે. તેને કેવી રીતે રોકવામાં આવે?" આ સાથે કોર્ટે પોલીસને તત્કાળ સંવેદનશીલ બનવાની જરૂરિયાત પર ભાર આપતા સરકારે આ દિશામાં જરૂરી પગલાં ઝડપથી ભરવા જોઇએ તેવા નિર્દેશ આપ્યા હતા. ન્યાયાલયે જણાવ્યું કે બળાત્કાર જેવા અપરાધોના કિસ્સામાં પોલીસની સંવેદનશીલતા સૌથી મહત્વની છે.