એક જ દિવસમાં નોટબંધી સાથે જોડાયેલી 7 મોટી ઘોષણાઓ, બિગ બાઝારમાંથી પણ ઉપાડાશે પૈસા
નોટબંધીના કારણે લોકોને થઇ રહેલી તકલીફોને કારણે એક જ દિવસમાં નોટબંધી સાથે જોડાયેલી 7 ઘોષણાઓ કરવામાં આવી. જાણો આના વિશે...
નોટબંધી બાદ લગ્નવાળા ઘરોમાં થઇ રહેલી તકલીફોને જોતા સરકારે લગ્નની કંકોત્રી બતાવીને 2.5 લાખ રુપિયા ઉપાડવાની સુવિધા આપી. પરંતુ આની સાથે ઘણી આકરી શરતો લગાવી દીધી જેના કારણે લોકોની તકલીફો ઓછી થઇ શકી નહિ. સાથે જ ઘણી અન્ય સુવિધાઓ પણ લોકોને આપવામાં આવી. આવો જાણીએ નોટબંધી સાથે જોડાયેલી 7 કામની ઘોષણાઓ.
10 હજાર રુપિયાથી વધુ રકમની ચૂકવણી પર જ આપવુ પડશે ઘોષણાપત્ર
હવે ભારતીય રિઝર્વ બેંકે લગ્નવાળા પરિવારોને થોડી રાહત આપી છે અને પોતાના ખાતામાંથી લગ્ન માટે 2.5 લાખ રુપિયા ઉપાડવાની શરતોમાં થોડી છૂટ આપી છે. આ છૂટ અંતર્ગત માત્ર 10 હજાર રુપિયાથી વધુ રકમની ચૂકવણી પર જ ઘોષણાપત્ર આપવાનું રહેશે. આ પહેલા એવો નિયમ હતો કે લગ્ન માટે જે લોકો 2.5 લાખ રુપિયા ઉપાડે છે તેમણે આ પૈસામાંથી કરેલી દરેક ચૂકવણીની જાણકારી આપવી પડશે. પરંતુ હવે આ શરતમાં થોડી રાહત આપવામાં આવી છે.
નાની બચત માટે નહિ ચાલે જૂની નોટ
વળી બીજી તરફ નાણા મંત્રાલય તરફથી આદેશ જારી કરવામાં આવ્યો છે કે નાની બચતની સ્કીમોમાં પૈસા ડિપોઝીટ કરવા માટે 500 અને 1000 રુપિયાની નોટ હવે માન્ય નથી.
સેમી-ક્લોઝ પ્રી-પેઇડ મર્યાદા વધારી
ભારતીય રિઝર્વ બેંકે ડિજિટલ રીતોથી પોતાની જરુરિયાતો પૂરી કરતા લોકો માટે સેમી-ક્લોઝ પ્રી-પેઇડ ઇંસ્ટ્રુમેંટની મર્યાદા વધારીને બમણી કરી દીધી છે. પહેલા આ મર્યાદા 10 હજાર રુપિયા હતી જેને હવે વધારીને 20 હજાર રુપિયા કરી દેવામાં આવી છે.
ખેડૂતોની મદદ માટે મહત્વનું પગલુ
ભારતીય રિઝર્વ બેંકે ગ્રામીણ સહકારી બેંકોને પોતાની પાસે પર્યાપ્ત રકમ ઉપલબ્ધ રાખવાનો આદેશ આપ્યો છે જેથી ખેડૂતોને રવિ પાક માટે જરુરી ખરીદી માટે ઉપયોગી રકમ મળી શકે.
એરપોર્ટ પર પાર્કિંગ ફી ન લાગવાની સમય મર્યાદા વધારી
નોટબંધીથી લોકોને થઇ રહેલી તકલીફોને જોતા સરકારે એરપોર્ટ પર લાગતી પાર્કિંગ ફી ની માફીની મર્યાદા વધારી દીધી છે. હવે 28 નવેમ્બર ની મધરાત સુધી તમારે એરપોર્ટ પર કોઇ પાર્કિંગ ફી નહિ આપવી પડે.
બિગ બાઝારમાંથી ઉપાડાશે પૈસા
હવે તમે પેટ્રોલ પંપ ઉપરાંત બિગ બાઝારમાંથી પણ રોકડ રકમ ઉપાડી શકશો. બિગ બાઝારે એલાન કર્યુ છે કે જે લોકો પાસે ડેબિટ કાર્ડ છે તેઓ તેની મદદથી 2000 રુપિયા કાઢી શકશે. ડેબિટ કાર્ડની મદદથી તમે 24 નવેમ્બર એટલે કે ગુરુવારથી બિગ બાઝારમાંથી 2000 રુપિયા કાઢી શકશો. આ માટે બિગ બાઝારે મીની એટીએમ લગાવ્યા છે. આ મીની એટીએમ દ્વારા તમે તમારુ એટીએમ કાર્ડ (ડેબિત કાર્ડ) સ્વાઇપ કરીને તેમાં પોતાનો પિન કોડ નાખીને 2000 રુપિયા કાઢી શકશો.
રેલવે એ માફ કર્યો સર્વિસ ટેક્સ
રેલવેએ ઓનલાઇન ટિકિટ બુકિંગ પર સર્વિસ ટેક્સ માફ કરી દીધો છે. રેલવેએ ઇ-ટિકિટ અને આઇ-ટિકિટ બુકિંગ પર સર્વિસ ટેક્સ માફ કરી દીધો છે. રેલવેએ મોટુ એલાન કરતા જણાવ્યુ કે આઇઆરસીટીસી દ્વારા ઇ-ટિકિટ અને આઇ-ટિકિટ બુકિંગ કરાવવા પર હવે સર્વિસ ટેક્સ નહિ લેવામાં આવે. વધુમાં વધુ લોકો કેશલેસ ટ્રાંઝેક્શન પ્રત્યે આકર્ષાય તે માટે આમ કરવામાં આવ્યુ.