ઉદ્ધવ ઠાકરે બાદ શિંદે જુથે પણ મોકલ્યા ECને 3 ચૂંટણી ચિહ્ન, જાણો શું છે નિશાન
થોડા મહિના પહેલા મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ બાદ શિવસેના બે ભાગોમાં વહેંચાઇ ગઇ હતી. એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે પોતાની શિવસેના ઓરીજનલ હોવા માટે લડાઇ રહ્યાં હતા. એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ચાલી રહેલ આ જંગ સુપ્ર
થોડા મહિના પહેલા મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ બાદ શિવસેના બે ભાગોમાં વહેંચાઇ ગઇ હતી. એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે પોતાની શિવસેના ઓરીજનલ હોવા માટે લડાઇ રહ્યાં હતા. એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ચાલી રહેલ આ જંગ સુપ્રીમ સુધી પહોંચી હતી. આ વચ્ચે હવે ચૂંટણી પંચે શિવસેનાનું ચૂંટણી ચિન્હ જપ્ત કરી લીધું હતું અને હવે બંને જૂથ ચૂંટણી પંચને નવા ચૂંટણી પ્રતીકો મોકલી રહ્યા છે. ઉદ્ધવ જૂથે રવિવારે ચૂંટણી પંચને કેટલાક પ્રતીકો મોકલ્યા હતા. શિંદે જૂથે સોમવારે ચૂંટણી પંચને ત્રણ પ્રતીક મોકલ્યા છે. તેમાં 'ઉગતા સૂર્ય', 'ત્રિશૂલ' અને 'ગદા'ના પ્રતીકનો સમાવેશ થાય છે.
ઉદ્ધવ ઠાકરેએ ગઇ કાલે મોકલ્યા હતા 3 નિશાન
રવિવારે ઉદ્ધવ ઠાકરે જૂથે ત્રણ પ્રતીકોનો વિકલ્પ પણ ચૂંટણી પંચને મોકલ્યો હતો. તેમાં ત્રિશૂળ, સળગતી મશાલ અને ઉગતા સૂર્યની નિશાનીનો સમાવેશ થાય છે. ઉદ્ધવ જૂથે અંધેરી પેટાચૂંટણી પહેલા આ ત્રણમાંથી કોઈપણ એક ચિહ્નને અંતિમ રૂપ આપવાની માંગ કરી છે. તમને જણાવી દઈએ કે અંધેરી સીટ પર પેટાચૂંટણી અંતર્ગત 3 નવેમ્બરે મતદાન થશે.
શનિવારે, ચૂંટણી પંચે 3 નવેમ્બરના રોજ અંધેરી પૂર્વ વિધાનસભા પેટાચૂંટણીમાં શિવસેનાના જૂથોને પાર્ટીના નામ અને તેના પ્રતીકનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. કમિશનનો આદેશ હરીફ જૂથોના સંગઠન પર નિયંત્રણના દાવા પર દાખલ કરવામાં આવેલી અરજી પર આવ્યો છે. તેણે બે જૂથોને સોમવાર સુધીમાં ત્રણ અલગ-અલગ નામના વિકલ્પો અને તેમના સંબંધિત જૂથોને ફાળવણી માટે ઘણા પ્રતીકો સૂચવવા જણાવ્યું હતું.