શ્રદ્ધા હત્યાકાંડઃ આરોપી આફતાબના ફ્લેટમાંથી મળી એક કરવત, જાણો અત્યાર સુધી કયા-કયા પુરાવા મળ્યા?
હાલમાં પોલીસને આરોપી આફતાબ અમીન પૂનાવાલાના છત્તરપુરના ભાડાના ફ્લેટમાંથી એક કરવત મળી છે.
Shraddha murder case: લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વૉકરની હત્યા કરી 35 ટૂકડા અલગ-અલગ વિસ્તારોમાં ફેંકી મહિનાઓ સુધી ખુલ્લેઆમ ફરનાર આફતાબ પર દેશભરમાંથી ફિટકાર વરસી રહ્યો છે. ચકચારી હત્યાકાંડમાં હજુ સુધી પુરાવાના અભાવ છે. હાલમાં પોલીસને આરોપી આફતાબ અમીન પૂનાવાલાના છત્તરપુરના ભાડાના ફ્લેટમાંથી એક કરવત મળી છે. હવે પોલીસને શંકા છે કે આફતાબ અમીન પૂનાવાલાએ તેની લિવ-ઈન-પાર્ટનર શ્રદ્ધા વૉકરના મૃતદેહના આ નાની કરવત વડે 35 ટુકડા કરી દીધા હશે. લગભગ ત્રણ દિવસ પહેલા પોલીસને આફતાબના ઘરેથી તલાશી લેતા કરવત મળી આવી હતી. સૂત્રોએ જણાવ્યુ કે જ્યાં સુધી ફૉરેન્સિક રિપોર્ટ ન આવે ત્યાં સુધી એ વાતની પુષ્ટિ ના થઈ શકે કે આ કરવતનો ઉપયોગ જધન્ય અપરાધ માટે કરવામાં આવ્યો હતો કે નહિ.
પોલીસ પાસે પુરાવાનો અભાવ
હાલમાં પોલીસને આફતાબ અમીન પૂનાવાલાની કબૂલનામાને મળતા વધુ પુરાવા મળ્યા નથી. પોલીસ તપાસમાં પુરાવા તરીકે લાશનો કોઈ મોટો ટુકડો મળ્યો નથી. શ્રદ્ધા વૉકરનું માથુ રિકવર થયુ નથી. તપાસકર્તાઓએ નજીકના જંગલોમાંથી 13 હાડકાના ટુકડાઓ અને ફ્લેટમાં લોહીના કેટલાક ડાઘાઓ મેળવ્યા છે પરંતુ હજુ સુધી નિર્ણાયક રીતે એ સાબિત કરવાનુ બાકી છે કે જે ટુકડાઓ અને લોહીના ડાઘા મળ્યા છે તે શ્રદ્ધા વૉકરના જ છે.
પોલીસે ધારદાર હથિયારોને ફૉરેન્સિક તપાસ માટે મોકલ્યા
પોલીસે જણાવ્યુ હતુ કે જે કરવત જપ્ત કરવામાં આવી હતી તે લાકડા કાપવા માટે સુથાર દ્વારા ઉપયોગમાં લેવાતી કરવત જેવી દેખાતી હતી. જો કે, આફતાબ જ્યારે ઘરમાં ગયો ત્યારે ત્યાં કોઈ ફર્નિચર કે રિપેરિંગનુ કામ ચાલતુ ન હતુ અને તેના કારણે જ શંકાની સોય કરવત અને અન્ય તિક્ષ્ણ હથિયારો પર જઈ રહી છે. પોલીસે તમામ ધારદાર હથિયારોને ફૉરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે. પોલીસનુ માનવુ છે કે કરવત મળવાથી તપાસમાં થોડી સફળતા મળી શકે છે કારણ કે સામાન્ય છરી વડે શરીરના કોઈપણ ભાગને કાપવુ અશક્ય છે.
શ્રદ્ધાની હત્યા બાદ ફોનને OLX પર વેચ્યો
સાકેત કોર્ટે પોલીસને આફતાબનો નાર્કો ટેસ્ટ કરવાની પણ મંજૂરી આપી છે. આ દરમિયાન પોલીસ આફતાબને ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં લઈને જશે જ્યાં તેણે તેની હત્યા કરતા પહેલા શ્રદ્ધા સાથે મુસાફરી કરી હતી. પોલીસ હવે તે સ્થળોની પણ તપાસ કરશે. અગાઉના અહેવાલો સૂચવે છે કે આફતાબે શ્રદ્ધાની હત્યા કર્યા પછી તેનો ફોન OLX વેબસાઇટ પર વેચી દીધો હતો અને છેલ્લા કેટલાક મહિનામાં ઘણા સિમ કાર્ડનો ઉપયોગ કર્યો હતો.
પોલીસે આફતાબને અત્યાર સુધી શું-શું જણાવ્યુ છે?
હિન્દુસ્તાન ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ આફતાબ પૂનાવાલાએ પોલીસને જણાવ્યુ કે તેણે 18 મેની સાંજે ગુસ્સામાં આવીને તેની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વૉકરનુ ગળુ દબાવી દીધુ. મહારાષ્ટ્રથી દિલ્લી જવાને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો. પૂનાવાલાએ પોલીસને સ્પષ્ટપણે જણાવ્યુ હતુ કે તેણે છ મહિના પહેલા શ્રદ્ધા વૉકરની હત્યા કરી હતી અને તેના શરીરના બે દિવસમાં ઓછામાં ઓછા 35 ટુકડા કરી નાખ્યા, તેમને લગભગ ત્રણ મહિના સુધી રેફ્રિજરેટરમાં રાખ્યા અને શરીરના અંગોને દિલ્લીના જુદા જુદા વિસ્તારોમાં ફેંકી દીધા હતા. દક્ષિણ દિલ્લીના અલગ-અલગ વિસ્તારોમાંથી શરીરના અંગો મળી આવ્યા છે. પોલીસે બાદમાં જણાવ્યુ હતુ કે છત્તરપુરમાં ફ્લેટમાં ગયાના ત્રણ દિવસ બાદ 18 મેના રોજ કપલ વચ્ચે પૈસાને લઈને ઝઘડો થયો હતો.