વ્હીલચેર પર બેસી આજે મમતા બેનરજી પશ્ચિમ બંગાળમાં રોડ શો કરશે
વ્હીલચેર પર બેસી આજે મમતા બેનરજી પશ્ચિમ બંગાળમાં રોડ શો કરશે
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસીના પ્રમુખ મમતા બેનરજી હોસ્પિટલેથી ડિસ્ચાર્જ થયા બાદ આજે રવિવારે પહેલો રોડ શો કરશે. 10 માર્ચે નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન મમતા બેનરજી પર હુમલો થયો હતો જેમાં મમતા બેનરજીના પગ, ખભા અને કમરમાં ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત મમતા બેનરજી આજે વ્હીલચેર પર બેસીને રોડ શો કરશે. ટીએમસીના સૂત્રો મુજબ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી આજે ગાંધી મૂર્તિથી હાજરા સુધી વ્હીલચેર પર રોડ શો કરશે. જે બાદ બપોરે સીએમ મમતા હાજરામાં એક સાર્વજનિક રેલીને સંબોધિત કરશે. નંદીગ્રામ ઘટના બાદ સીએમ મમતા બેનરજીનો આ પહેલો રોડ શો છે. સીએમ મમતા બેનરજીને ડૉક્ટર્સે આરામ કરવાની સલાહ આપી છે. પરંતુ મમતા બેનરજીએ હોસ્પિટલેથી એક વીડિયો જાહેર કરી જણાવ્યું હતું કે તેઓ ઈજાગ્રસ્ત થયા બાદ પણ પોતાનો ચૂંટણી પ્રચાર અભિયાન નહિ રોકે.
સીએમ મમતા બેનરજીને કોલકાતાના હોસ્પિટલેથી બે દિવસ પહેલા જ ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યાં છે. મુખ્યમંત્રી મમતા બેનરજીએ હોસ્પિટલેથી પોતાના સમર્થકો માટે એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે. જેમાં સીએમ મમતા બેનરજીએ કહ્યું હતું કે, બેથી ત્રણ દિવસમાં હું ફરીથી જમીની સ્તરે પહોંચીશ. ઈજા રહેશે, એ આટલી જલદી ઠીક નહિ થાય. પરંતુ હું બધું જ મેનેજ કરી લઈશ. હું એકેય બેઠક નહિ છોડું. મારે વ્હીલચેરની મદદ લેવી પડી શકે છે. મારે બસ તમારા બધાનું સમર્થન જોઈએ.
10 માર્ચે નંદીગ્રામ ઘટના બાદ સીએમ મમતા બેનરજીનો આ પહેલો રોડ શો અને ચૂંટણી રેલી હશે. મમતા બેનરજીએ કહ્યું હતું કે સાંજે છ વાગ્યે હું નંદીગ્રામ સીટથી નામાંકન દાખલ કરી ચૂંટણી પ્રચાર કરી રહી હતી. તે દરમ્યાન ચારથી પાંચ લોકોએ આવી મને ધક્કો માર્યો અને તેને કારણે ઈજાગ્રસ્ત થઈ ગઈ. તેમનો આરોપ હતો કે ચૂંટણી પ્રચાર દરમ્યાન કેટલાક અજાણ્યા લોકોએ તેમને ધક્કો માર્યો હતો. મમતા બેનરજીને કોલકાતાના એસએસકેએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.