સસ્તા અનાજ માટે હજી પણ છ મહિનાની રાહ જોવી પડશે
આ વટહુકમ પર વિપક્ષ તરફથી થઇ રહેલા ચોતરફી પ્રહારોનો જવાબ આપવા માટે કેન્દ્ર સરકાર અને કોંગ્રેસ મેદાનમાં ઉતરી આવી છે. વટહુકમની કલમ 10માં એવી જોગવાઇ કરવામાં આવી છે કે આવનારા 180 દિવસની અંદર રાજ્યો તમામ લાભાર્થીઓની ઓળખ પ્રક્રિયા પૂરી કરી લે. આ વટહુકમનો અમલ શરૂ થાય ત્યાં સુધી જુની જ રાશન પદ્ધતિ અમલમાં રહેશે. આ માટે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પણ વટહુકમ પર મંજૂરીની મહોર લગાવી દીધી છે.
આ અંગે વિપક્ષ દ્વારા ઉભા કરવામાં આવી રહેલા પ્રશ્નો અંગે કોંગ્રેસના પ્રવક્તા અજય માકેન અને ખાદ્ય મંત્રી કે વી તોમસે સંયુક્ત રીતે જણાવ્યું કે આ યોજનાના અમલીકરણ માટે અનાજ કે ધનની કોઇ કમી નથી. બંને નેતાઓના જણાવ્યા અનુસાર વિપક્ષ જે દાવો કરી રહી છે કે ખાદ્ય સુરક્ષા કાયદાને પગલે સરકારી ખજાના પર કુલ 1.24 લાખ કરોડ રૂપિયાનો બોજ પડશે, તે સંપૂર્ણ સત્ય નથી. હકીકત એ છે કે આ યોજનાથી સરકારી ખજાના પર 23800 કરોડ રૂપિયોના બોજ પડશે.
કોંગ્રેસે એમ પણ જણાવ્યું કે આ યોજનાના અમલીકરણ માટે 6.12 કરોડ ટન અનાજની જરૂર પડશે. તેનાથી દેશની 81 કરોડ જનતાને લાભ મળશે.