મેડમ અને તેમના દીકરાએ મારી સામે કાવતરું ઘડ્યું છે : આસારામ
ભોપાલ, 29 ઓગસ્ટ : સ્વયંને ભગવાન માનનારા અને 16 વર્ષની કિશોરી પર બળાક્તારના આરોપમાં ફસાઇ ગયેલા ધર્મગુરુ આસારામ બાપુ પોતાના પર લાગેલા આરોપોને કારણે સમસમી ઉઠ્યા છે. અત્યાર સુધી પોતે સાફ અને નિર્દોષ હોવાનું રટણ ચલાવી રહેલા આસારામ હવે ગુસ્સો કાઢી રહ્યા છે. હવે તેઓ પોતાની સામે ઘડવામાં આવેલા આરોપોને કાવતરામાં ખપાવી રહ્યા છે. તેમણે પોતાની સામે વર્ષેથી સોનિયા ગાંધી અને તેમનો દીકરો રાહુલ ગાંધી હાથ ધોઇને પડી ગયા છે અને કાવતરું ઘડી રહ્યા છે તેવા આરોપો મુક્યા છે.
ભોપાલમાં પોતાના સસરાના અંતિમ સંસ્કારમાં પહોંચેલા અને મીડિયા દ્વારા ઘેરી લેવામાં આવેલા આસારામ મીડિયાના પ્રશ્નોનો જવાબ આપતા સમયે ગુસ્સે થઇ ગયા હતા અને મોટા અવાજમાં મીડિયા પર્સનને ધમકી આપવા લાગ્યા હતા.
તેમણે મીડિયા દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં પોતાની પર લગાવવામાં આવેલા આરોપોમાં કોંગ્રેસનો હાથ હોવાનું જણાવ્યું હતું. તેમણે પોતાની સામે કાવતરું ઘડવામાં આવ્યું હોવાનું જણાવતા કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને તેમના દીકરા રાહુલ ગાંધી આ કાવતરું ઘડી રહ્યા છે. તેમને શબ્દો હતા કે "મેડમ અને તેમના દીકરાના ઇશારા પર સમગ્ર સાજિશ રચવામાં આવી રહી છે."
મેડમ અને તેમના દીકરા પર આરોપો લગ્યાવ્યા બાદ જ્યારે મીડિયાએ તેમને કોઇ પક્ષ (ભાજપ)ના સમર્થન સંબંધિત પ્રશ્નો પૂછ્યા તો તેઓ ગુસ્સે થઇને મીડિયા પર્સનને ધમકી આપવા લાગ્યા હતા. પોતાનું નિયંત્રણ ગુમાવીને આસારામે જણાવ્યું હતું કે તેમની સાથે કોઇ પાર્ટી નથી. કોઇ પણ પાર્ટી તેમની મદદ કરી રહી નથી.
તેમણે રાજસ્થાન પોલીસ પર આરોપ લગાવતા જણાવ્યું કે લોકો તેમના સસરાના ઘરે રાજસ્થાન પોલીસની હાય હાય બોલાવતા પહોંચ્યા હતા. જેના કારણે તેમના સસરાની તબિયત લથડી ગઇ હતી અને તેમનું મૃત્યુ થયું હતું.
ઉલ્લેખનીય છે કે આસારાપ પર તેમના જ આશ્રમમાં અભ્યાસ કરનારી એક કિશોરીએ આરોપ લગાવ્યો હતો કે ગુરુ પૂર્ણિમાના દિવસે તે જ્યારે આશીર્વાદ લેવા ગઇ ત્યારે આશીર્વાદના બહાને તેની પર બળાત્કાર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ આરોપો લગ્યાવ્યા બાદ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દિલ્હી પોલીસ આસારામ સામે કાર્યવાહી કરી રહી છે. જોધપુર પોલીસે તેમને સમન પાઠવ્યું છે. તેમણે 30 ઓગસ્ટ સુધીમાં જોધપુર પોલીસ સમક્ષ હાજર થવાનું છે.