સોનિયા ગાંધીને વિશ્વાસ, જરૂર બનાવીશું યુપીએ-3
નવી દિલ્હી, 25 ઑગસ્ટ : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને સંપૂર્ણ વિશ્વાસ છે કે યુપીએ એકવાર ફરી સત્તામાં પાછી આવશે. સામાન્ય ચૂંટણીમાં સત્તામાં આવવાને લઇને વિશ્વાસથી ભરપૂર દેખાનાર યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીનું કહેવું છે કે તેઓને 100 ટકા વિશ્વાસ છે કે યુપીએ-3 બનશે.
સોનિયા ગાંધીના આ વિશ્વાસનું કારણ યુપીએ સરકારનું ગેમચેન્જર સમાન ગણાતા ખાદ્ય સુરક્ષા બિલ, જમીન સુધાર અધિગ્રહણ અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાંસફર જેવા કાર્યક્રમ છે. યુપીએને લાગે છે કે જે રીતે મનરેગા અને આરટીઆઇએ તેમના માટે યુપીએ-2નો માર્ગ મોકળો કર્યો, તેવી જ રીતે આ કાનૂન અને યોજનાઓ તેમને યુપીએ-3 માટે મદદ કરશે.
ખાદ્ય સુરક્ષા બિલને લઇને આશા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે આવતા અઠવાડિયે આ બિલ પાસ થઇ જશે. જોકે આ બિલને લઇને જ્યારે બીજેપીની ઇચ્છા પર સવાલ કરવામાં આતવા તેમણે જણાવ્યું કે આનો જવાબ હું કેવી રીતે આપી શકું?
સોનિયા ગાંધીએ સમય પહેલા લોકસભા ચૂંટણી થવાનો ધરાર ઇનકાર કરી દીધો હતો. જોકે ચર્ચા એવી છે કે સરકાર ખાદ્ય સુરક્ષા બિલ અને જમીન અધિગ્રહણ જેવા મહત્વના બિલોને પાસ કરાવ્યા બાદ સમય પહેલા ચૂંટણીનો પ્રસ્તાવ કરી શકે છે, જોકે સોનિયા ગાંધીએ આ અંગેની સંભાવના પણ નકારી નાખી હતી.