નવી દિલ્હી, 13 મે : લોકસભા ચૂંટણી 2014ના અંતિમ તબક્કાનું મતદાન પુરું થવાની સાથે જ એક્ઝિટ પોલના પરિણામોએ દેશભરમાં એક અજબ લહેરનું સર્જન કર્યું છે. ભાજપ તરફીઓમાં ઉત્સાહની લહેર છે તો બીજી તરફ કોંગ્રેસ સમર્થકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. કોંગ્રેસીએ હવે પોતાની હારના બચાવમાં શું કહેવું તે અંગે વિચાર કરી રહ્યા છે.
એક્ઝિટ પોલના પરિણામોને પગલે કોંગ્રેસમાં દોડભાગ મચી ગઇ છે. કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીએ તાત્કાલિક કોર ગ્રુપની બેઠક બોલાવી હતી. આ બેઠક બોલાવવા પાછળનું મુખ્ય કારણ એ માનવામાં આવે છે કે જો એક્ઝિટ પોલના પરિણામ સાચા સાબિત થયા તો કોંગ્રેસની કમાન સંભાળનારા રાહુલ ગાંધીની કારકિર્દીનું બાળમરણ થવાની શક્યતા છે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધીને જવાબદાર બનતા અટકાવવા માટે સોનિયા ગાંધી ખુદ હારની જવાબદારી સ્વીકારી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આમ તો કોંગ્રેસના બધા જ નેતાઓ સામૂહિક હારની જવાબદારી સ્વીકારવા માટે તૈયાર છે. બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષા સેફ ગેમ રમીને ભવિષ્ય માટે દીકરા રાહુલ ગાંધી અને કોંગ્રેસનો માર્ગ મોકળો બની રહે તેવી સ્થિતિ ઉભી કરવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા જ કોંગ્રેસ સ્પષ્ટ કરી ચૂકી છે કે સરકાર બનાવવા માટે તે ત્રીજા મોરચા સાથે જોડાણ કરશે નહીં. કારણ કે 10 વર્ષના અનુભવ બાદ કોંગ્રેસના અગ્રણી નેતાઓનું માનવું છે કે તોડજોડથી સરકાર બનાવવી તેના બદલે વિપક્ષમાં બેસવું વધારે યોગ્ય છે.
હાલ તો કોંગ્રેસે એક્ઝિટ પોલના પરિણામોને એમ કહીને નકારી દીધા છે કે વર્ષ 2004માં અને 2009માં પણ એક્ઝિટ પોલના પરિણામો ખોટા સાબિત થયા હતા. દર વખતની જેમ આ વખતે પણ એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે.