ભાજપમાં સામેલ ન થવાના કારણે સૌરવ ગાંગુલીને ફરીથી BCCIનુ અધ્યક્ષ પદ ન અપાયુઃ TMC
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી હવે વધુ દિવસો સુધી પોતાના પદ પર નહિ રહે. જાણો વિગત.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી હવે વધુ દિવસો સુધી પોતાના પદ પર નહિ રહે. સૌરવ ગાંગુલીની જગ્યાએ 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમ સભ્ય પૂર્વ ઝડપી બોલર રોજર બિન્ની બીસીસીઆઈના અધ્યક્ષ બની શકે છે. બીસીસીઆઈમાં હાલમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આ બેઠકોમાં સૌરવ ગાંગુલીના ભવિષ્યને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે. આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસે ભાજપ પર જોરદાર નિશાન સાધ્યુ છે. ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે સૌરવ ગાંગુલીએ ભાજપમાં સામેલ થવાનો ઈનકાર કરી દીધો એટલા માટે તેમને બીસીસીઆઈ અધ્યક્ષનો બીજો કાર્યકાળ નથી આપવામાં આવી રહ્યો. ભાજપ તેમને નીચુ દેખાડવા માંગી રહી છે કારણકે તે તેમને પોતાની પાર્ટીમાં સામેલ ન કરી શકી.
મીડિયા રિપોર્ટ મુજબ દિલ્લીમાં એક બેઠક યોજાઈ હતી જેમાં બીસીસીઆઈ પ્રમુખ તરીકેના ખરાબ પ્રદર્શન માટે ગાંગુલીની ટીકા કરવામાં આવી હતી. એવુ માનવામાં આવે છે કે બીસીસીઆઈ પ્રમુખ તરીકેના તેમના કામને કારણે તેમની વિદાય નિશ્ચિત જણાય છે. જો કે રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યુ છે કે સૌરવ ગાંગુલી અધ્યક્ષ પદ માટે આગામી ચૂંટણી નહીં લડે. તેથી હવે ભૂતપૂર્વ ફાસ્ટ બોલર રોજર બિન્ની બીસીસીઆઈ પ્રમુખ બનવા માટે તૈયાર દેખાઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે બીસીસીઆઈના તમામ પદો માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. બીસીસીઆઈ પ્રમુખ પદ માટે 18 ઓક્ટોબરે મુંબઈમાં ચૂંટણી યોજાવાની છે. બીસીસીઆઈમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને ટ્રેઝરરની ભૂમિકા માટે ચૂંટણી યોજાશે. ચૂંટણી લડવા માટે આ પદો માટે 11 અને 12 ઓક્ટોબર સુધીમાં નામાંકન ભરવાના રહેશે.
ટીએમસીના પ્રવક્તા કુણાલ ઘોષે વધુમાં કહ્યુ કે ભાજપે ગયા વર્ષે લોકોમાં એ સંદેશ ફેલાવવાની કોશિશ કરી હતી કે સૌરવ ગાંગુલી ભાજપમાં જોડાઈ રહ્યા છે. ગયા વર્ષે ચૂંટણી પહેલા ભાજપે આ કોશિશ કરી હતી. સૌરવ ગાંગુલી અહીં ખૂબ જ લોકપ્રિય છે. તેથી જ ભાજપે પ્રચાર કર્યો હતો કે સૌરવ ભાજપમાં જોડાઈ શકે છે. સૌરવ ગાંગુલીને બીજી ટર્મ ન આપવી એ રાજકીય દ્વેષભાવનુ સ્પષ્ટ ઉદાહરણ છે. અમિત શાહના પુત્ર જય શાહ બીસીસીઆઈના સેક્રેટરી તરીકે ચાલુ રહેશે પરંતુ સૌરવ ગાંગુલી હવે બીસીસીઆઈના અધ્યક્ષ રહેશે નહિ.
આ તરફ ભાજપે ટીએમસીના આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે અને તેને પાયાવિહોણા ગણાવ્યા છે. ભાજપે કહ્યુ છે કે અમે ક્યારેય સૌરવ ગાંગુલીને અમારી પાર્ટીમાં સામેલ કરવાની કોશિશ નથી કરી. તમને જણાવી દઈએ કે 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમનો હિસ્સો રહેલા રોજર બિન્નીએ મંગળવારે અધ્યક્ષ પદ માટે નામાંકન ભર્યુ છે. 18 ઓક્ટોબરે મળનારી એજીએમની બેઠકમાં તેમના નામને મંજૂરી આપવામાં આવી શકે છે. આ સિવાય જય શાહે બીસીસીઆઈ સેક્રેટરી પદ માટે પણ ઉમેદવારી નોંધાવી છે. એવુ માનવામાં આવે છે કે જય શાહ આઈસીસી બોર્ડના સભ્ય તરીકે ભારતના પ્રતિનિધિ તરીકે સૌરવ ગાંગુલીનુ સ્થાન લઈ શકે છે.