લખનઉ, 28 માર્ચ: લખનઉ સંસદીય સીટ પર લોકસભા ચૂંટણીની લડાઇ એકદમ રોચક બનતી જોવા મળી રહી છે. હાલના સાંસદ લાલજી ટંડનનું પત્તું સાફ કરી ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહ પોતે અહીંથી મેદાનમાં ઉતરી રહ્યાં છે. તેમને આકરી ટક્કર આપવા માટે સમાજવાદી પાર્ટી (સપા)એ ગુરૂવારે પોતાના પહેલાં જાહેર કરેલા ઉમેદવાર ડૉ. અશોક વાયપાઇની જગ્યાએ અખિલેશ સરકારમાં મંત્રી અભિષેક મિશ્રાને ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી છે. અભિષેક મિશ્રા ઉત્તર પ્રદેશ સરકારમાં રાજ્યમંત્રી છે અને મુખ્યમંત્રી અખિલેશ યાદવના નજીકના માનવામાં આવે છે.
અખિલેશની પહેલ બાદ જ આઇઆઇએમમાં પ્રોફેસર અભિષેક મિશ્રા પોતાના શિક્ષણના વ્યવસાયને છોડીને વિધાનસભા ચૂંટણી દરમિયાન લખનઉમાં મેદાનમાં ઉતર્યા હતા અને પહેલાં ચૂંટણીમાં જીત નોંધાવી હતી. હવે ફરી એકવાર તે લોકસભાના ઉમેદવારના રૂપમાં તે જનતા સમક્ષ સામે આવશે. લખનઉથી રાજનાથની ઉમેદવારી સ્પષ્ટ થયા બાદ માનવામાં આવે છે સપા પોતાના પહેલાં જાહેર કરેલા ઉમેદવારને બદલશે. રાજકીય વિશ્લેષકોના અનુસાર સપા ઉત્તર પ્રદેશની રાજધાનીથી રાજનાથ સિંહને આકરી ટક્કર આપીને એ સંદેશો આપવા માંગે છે કે ભાજપને કેન્દ્રની સત્તામાં આવતાં રોકવા માટે તે પુરજોશમાં પ્રયત્ન કરી રહી છે.
મુખ્ય રાજકીય પક્ષોની વાત કરીએ તો કોંગ્રેસે પણ અહીં પોતાના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રીત બહુગુણા જોશીને ઉમેદવાર બનાવ્યા હતા. રીતા વર્ષ 2009માં પણ લખનઉથી લોકસભા ચૂંટણી લડી ચૂકી છે અને તેમણે ભાજપના લાલજી ટંડનને આકરો પડકાર ફેંક્યો હતો. ઉત્તરાખંડની મૂળ નિવાસી રીતાને લખનઉમાં મોટી સંખ્યામાં રહેનાર પોતાન ગૃહ પ્રદેશના મૂળ નિવાસી મતદારો પર પૂરો વિશ્વાસ છે, કારણ કે તે જ મતદારોના સહારે તેમણે ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ કૈંટ વિધાનસભા વિસ્તારમાં જીત નોંધાવી હતી.
તો બીજી તરફ બસપાએ આ સીટ પર બ્રાહ્મણ કાર્ડ ચલાવતાં નકુલ દુબેને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. નકુલ પૂર્વવર્તી બસપા સરકારમાં મંત્રી રહી ચૂક્યાં છે અને પાર્ટી મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રાના અંગત માનવામાં આવે છે. જો કે ગત વિધાનસભા ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. લખનઉના રાજકારણમાં મહાસમરમાં મુખ્ય પાર્ટીઓના ઉમેદવારોને જોઇએ તો કોંગ્રેસ, ભાજપ, સપા અને બસપાને મેળવીને કુલ ત્રણ બ્રાહ્મણ અને એક સ્થાનિક ઉમેદવાર મેદાનમાં છે. તેમાંથી બે વિધાનસભાના સભ્ય છે.