કતારમાંથી 7 લાખ ભારતીયોને પરત લાવવા માટે 'એરલિફ્ટ' મિશન
કતારમાંથી ભારતીય નાગરિકોને પાછા લાવવા માટે એર ઇન્ડિયા દ્વારા સ્પેશિયલ ફ્લાઇટ સંચાલિત કરવામાં આવશે.
ભારત કતારમાં ફસાયેલા પોતાના નાગરિકોને ત્યાંથી સુરક્ષિત લાવવા માટે વિશેષ ફ્લાઇટની શરૂઆત કરનાર છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ 6 અખાતી દેશોએ કતાર પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ બાદ કતાર સાથેના તમામ વેપાર અને એર ટ્રાન્સપોર્ટેશન બંધ કરી દેવામાં આવ્યા છે.
સિવિલ એવિએશન મંત્રી અશોક ગજપતિ રાજુએ ક્હયું કે, એર ઇન્ડિયા અને પ્રાઇવેટ એરલાઇન્સ કોચી, મુંબઇ અને તિરુવનંતપુરમથી દોહાની વિશેષ ફ્લાઇટ્સ ઓપરેટ કરશે. દોહા કતારની રાજધાની છે. તેમણે ખાતરી આપી છે કે, કોઇ પણ ભારતીય કતારમાં વિકટ પરિસ્થિતિમાં ફસાયેલા નથી, પરંતુ ભારતની ટિકિટની અતિરિક્ત માંગને કારણે તેમને ટિકિટ નથી મળી રહી. વર્તમાન સમયમાં કતારમાં 7 લાખ ભારતીયો છે. એર ઇન્ડિયા દ્વારા 25 જૂનથી 8 જુલાઇની વચ્ચે કેરળથી દોહાની સ્પેશિયલ ફ્લાઇટ ઉડાવવામાં આવશે. સાથે જ જેટ એરવેઝ દ્વારા મુંબઇથી દોહાની એક્સ્ટ્રા ફ્લાઇટનું સંચાલન કરવામાં આવશે. 22 અને 23 જૂનના રોજ જેટ એરવેઝ તરફથી 168 બેઠકવાળા એક એરક્રાફ્ટનું સંચાલન કરવામાં આવશે. એર ઇન્ડિયાની જ શાખા એર ઇન્ડિયા એક્સપ્રેસ પણ તિરુવનંતપુરમથી દોહા અને કોચીન-દોહાના રૂટ પર 25 જૂનથી 8 જુલાઇની વચ્ચે 186 બેઠકવાળા એરક્રાફ્ટનું સંચાલન કરશે. સિવિલ એવિએશન મંત્રાલય તરફથી આ અંગેની જાણકારી આપવામાં આવી છે.
પ્રાઇવેટ એરલાઇન્સ પણ કરશે મદદ
ગજપતિ રાજૂએ કહ્યું કે, સરકાર અન્ય પ્રાઇવેટ અરલાઇન્સ સાથે પણ વાટાઘાટો કરી રહી છે, જેથી બીજી સ્પેશિયલ ફ્લાઇટ શરૂ કરી શકાય. તેમણે જણાવ્યું કે, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથે આ મામલે વાત કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો. ગજપતિ રાજૂએ ટ્વીટ કરી જાણકારી આપી કે, નિશ્ચિત સમયસીમાની અંદર આ અભિયાન પૂરું કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, આ મામલે તેઓ અને સુષ્મા સ્વરાજ સતત સંપર્કમાં છે. આ માસની શરૂઆતમાં જ યૂએઇ, સાઉદી આરબ, ઇજિપ્ત અને બહરીન સહિત છ દેશોએ કતાર પર આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબંધ મૂક્યો છે.