જમ્મુ કાશ્મીરમાં પૂર પીડિતોના બચાવની કામગીરી કરતા સેનાના હેલિકોપ્ટર પર પત્થરમારો
જમ્મુ, 13 સપ્ટેમ્બર : પૂરગ્રસ્ત જમ્મુ કાશ્મીરમાં ભારતીય વાયુસેનાને ગુજરાતી કહેવત 'જશને માથે જૂતિયાં' જેવો અનુભવ થયો છે. શ્રીનગરના લાલ ચોકમાં એરફોર્સના જવાનોને ફરી લોકોના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું છે. લોકોએ તેમને થઇ રહેલી અસુવિધાનો ગુસ્સો એરફોર્સના હેલિકોપ્ટર પર પથ્થરમારો કરીને કાઢ્યો હતો. જેના પગલે પથ્થરમારો કરી રહેલા લોકોને વિખેરવા માટે સેનાએ હવામાં ગોળીબાર કરવાની ફરજ પડી હતી.
આ પૂર્વે રાજ્ય સરકારે સંવેદનશીલ વિસ્તારો કે જ્યાં રાહત અને બચાવ કાર્યને અટકાવવા માટે પથ્થરમારો થઈ રહ્યો હતો, ત્યાં મોટી સંખ્યામાં સ્થાનિક પોલીસ અને પેરા મિલીટ્રી ફોર્સ તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો.
પ્રાપ્ત અહેવાલ અનુસાર બચાવ કામગીરી બાદ સારવારની કામગીરી દરમિયાનમાં શ્રીનગરની જીબી પંત ચિલ્ડ્રન હોસ્પિટલમાં મરણાંક વધીને 14 થયો છે. અહીંથી મોટીં સંખ્યામાં બાળકોને આર્મી બેસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
નોંધનીય છે કે આજે જમ્મુ અને કાશ્મીરમાં બચાવ અને રાહત કામગીરી અંતર્ગત શ્રીનગરમાંથી 200 જેટલા વિદ્યાર્થીઓને બહાર ખસેડાયા છે. આ કામગીરી માટે 30,000 જેટલા જવાનો, 86 વિમાન અને હેલિકોપ્ટર બચાવ કામગીરીમાં લાગ્યા છે. એકલા શ્રીનગરમાં અંદાજે 21000 જેટલા જવાનો શ્રીનગરમાં જ્યારે 9000 જેટલા જવાનો જમ્મુમાં રાહત કાર્ય કરવામાં વ્યસ્ત છે.