કલકત્તા HC ના જજ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનું વોરન્ટ
બુધવારે સુપ્રીમ કોર્ટે જસ્ટિસ કર્ણન વિરુદ્ધ અનાદર(કન્ટેમ્પટ) નોટિસ જાહેર કરતાં તેમને કામગીરીથી અલગ કરવાનો આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે અનાદર(કન્ટેમ્પટ)ના મામલે સુનાવણી કરતાં જસ્ટિસ સી.કર્ણન વિરુદ્ધ વોરેન્ટ બહાર પાડ્યું છે. સુપ્રીમ કોર્ટે આ સામેથી આ મામલો હાથમાં લઇ તેની સુનાવણી માટે એક અલગ બેંચની રચના પણ કરી હતી. જસ્ટિસ કર્ણને સુપ્રીમ કોર્ટના આદેશની પણ અવગણના કરી અને કોર્ટમાં હાજરી ન આપી.
10 માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો હતો
આ મામલાને કઇ રીતે ઉકેલવો એ અંગે બેંચ ચર્ચા કરી રહી છે. કોર્ટે જસ્ટિસ કર્ણનને નોટિસનો જવાબ આપવા માટે 10 માર્ચ સુધીનો સમય આપ્યો હતો, પરંતુ કર્ણન કોર્ટ સામે હાજર ન થયા. તેમણે પોતાને દલિત ગણાવી તેમની પર અત્યાચાર કરાઇ રહ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે સુપ્રીમ કોર્ટના કોલેજિયમ સિસ્ટમ પર પણ સવાલ કર્યા હતા, જે હેઠળ તેમની મદ્રાસ હાઇકોર્ટમાંથી કલકત્તા બદલી કરવામાં આવી હતી.
મદ્રાસ હાઇકોર્ટના જજ પર લગાવ્યો બળાત્કારનો આરોપ
મદ્રાસ હાઇકોર્ટ તરફથી રજૂઆત કરવા આવેલ સીનિયર કાઉન્સેલ કે.કે.વેનુગોપાલે બેંચને જણાવ્યું હતું કે, જસ્ટિસ કર્ણન તરફથી અન્ય જજોને મૌખિક ધમકીઓ મળી રહી છે, તેમણે ઘણા અપશબ્દો પણ કહ્યાં છે. જજોને સુરક્ષા આપવાની જરૂર છે. જસ્ટિસ કર્ણને મદ્રાસ હાઇકોર્ટના જજ પર બળાત્કારનો આરોપ પણ લગાવ્યો છે.
અહીં વાંચો - દિલ્હીના ઉપરાજ્યપાલે કેજરીવાલ સરકારને આપ્યો મોટો આંચકો
બુધવારે સુપ્રીમ કોર્ટે જસ્ટિસ કર્ણન વિરુદ્ધ અનાદર(કન્ટેમ્પટ) નોટિસ જાહેર કરતાં તેમને કામગીરીથી અલગ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે આદેશ આપ્યો હતો કે, જસ્ટિસ કર્ણન તમામ ન્યાયિક કામગીરીઓથી દૂર રહેશે અને તેમણે તમામ ફાઇલો પરત કરવાની રહેશે.