Pegasus spyware Row: પેગાસસ જાસૂસી મામલે આજે સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી
પેગાસસ જાસૂસી મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. જાણો સમગ્ર વિગત.
નવી દિલ્લીઃ પેગાસસ જાસૂસી મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. આ કેસની સુનાવણી ચીફ જસ્ટીસ એનવી રમના અને જસ્ટીસ સૂર્યકાંતની બેંચ કરવાની છે. તમને જણાવી દઈએ કે કોર્ટે 9 અરજીઓ પર 7 સપ્ટેમ્બરે આ કેસમાં સુનાવણી કરીને કેન્દ્રને પોતાનો જવાબ દાખલ કરવા માટે સમય આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે કોર્ટ એ અરજીઓ પર સુનાવણી કરી રહ્યુ છે જેમાં કહેવામાં આવ્યુ હતુ કે પત્રકારો અને નેતાઓની જાસૂસી કરવી બહુ મોટો ગુનો છે, આ અમારી સ્વતંત્રતા પર પ્રહાર છે.
તમને જણાવી દઈએ કે આ અરજીઓ પત્રકાર એનરામ અને શશિકુમાર, સીપીએમના રાજ્યસભાના સાંસદ જૉન બ્રિટાસ અને વકીલ એમએલ શર્મા તરફથી દાખલ કરવામાં આવી છે. આ પહેલા કોર્ટની સુનાવણીમાં સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યુ કે સ્પાઈવેર પેગાસસ જેવા સૉફ્ટવેર બીજા દેશના લોકો ખરીદી રહ્યા છે. અમારી પાસે કંઈ પણ છૂપાવવા માટે નથી, જે છે સામે જ છે પરંતુ જે રીતે અરજીઓમાં વાત કરવામાં આવી છે તેનાથી જરૂર ભારતની સુરક્ષાને જોખમ થઈ શકે છે.
શું છે સમગ્ર મામલો
તમને જણાવી દઈએ કે ફ્રાંસની સંસ્થા Forbidden Stories અને એમનેસ્ટી ઈન્ટરનેશનલે એમ કહીને સનસની પેદા કરી દીધી છે કે ઘણા દેશની સરકારો ઈઝરાયેલી કંપની NSOના સ્પાઈવેર પેગાસસ દ્વારા પત્રકારો, કાયદાવિદો અને નેતાઓની જાસૂસી કરાવી રહી છે જેમાં ભારત પણ શામેલ છે. અહીં પણ ઘણા પત્રકારો અને નેતાઓની જાસૂસી પેગાસસ કરાવી રહ્યુ છે. ત્યારબાદ કોંગ્રેસે મોદી સરકાર સામે મોરચો ખોલ્યો છે. જો કે મોદી સરકાર તરફથી આનો વિરોધ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યુ છે કે સરકારે કોઈની પણ જાસૂસી કરાવી નથી.
હું કોઈનાથી ડરતો નથીઃ રાહુલ ગાંધી
મોદી સરકારના દાવાઓને ખોટા ગણાવીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે તેમનો ફોન ટેપ કરવામાં આવ્યો છે માટે આ કેસની ન્યાયિક તપાસ થવી જોઈએ. તેમણે કહ્યુ કે આ માત્ર મારી ગોપનીયતાનો જ મામલો નથી પરંતુ જનતાના અવાજ પર આક્રમણ છે, હું કોઈનાથી ડરતો નથી કે હું ચૂપ બેસી જઈશ.