પદ્માવતને લીલી ઝંડી, SCએ રાજસ્થાન-MPની અરજી ફગાવી
સુપ્રીમ કોર્ટે મંગળવારે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરકારની ફિલ્મ 'પદ્માવત'ની રિલીઝ રોકવાની પુનર્વિચારની અરજી ફગાવી હતી. આ અંગે વધુ વાંચો અહીં.
સુપ્રીમ કોર્ટે મંગળવારે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરકારની ફિલ્મ 'પદ્માવત'ની રિલીઝ રોકવાની પુનર્વિચારની અરજી ફગાવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, હિંસાનું કારણ આગળ ધરી રાજ્ય સરકારો પોતાની જવાબદારીથી બચી નહીં શકે. હિંસાના કારણે ફિલ્મ પર પ્રતિબંધ ન મુકી શકાય. કોર્ટના આ નિર્ણય બાદ હવે સંજય લીલા ભણસાલીની ફિલ્મ સમગ્ર દેશમાં 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે. કોર્ટે સરકારને કડક સંદેશ આપતા કહ્યું કે, સેન્સર બોર્ડે પોતાનું કામ કરી લીધું છે, હવે રાજ્ય સરકાર પોતાનું દાયિત્વ નિભાવે. ફિલ્મ રોકીને અરાજક તત્વોને આગળ ન વધવા દેવાય. રાજસ્થાન સરકારનો પક્ષ રજૂ કરી રહેલ એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, અમે કોર્ટને ફિલ્મ 'પદ્માવત' પર રોક લગાવવા નહીં, માત્ર આદેશમાં કેટલાક પરિવર્તનની અનુમતિ આપવાની માંગ કરી રહ્યાં છીએ.

આની પર ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની ત્રણ જજોની બેન્ચે કહ્યું કે, લોકોએ એ સમજવું પડશે કે અહીં એક બંધારણીય સંસ્થા છે અને અમે આ અંગે આદેશ પાસ કરી દીધો છે. તો બીજી બાજુ કરણી સેનાના પ્રમુખ લોકેન્દ્ર કાલવીએ કોર્ટના નિર્ણય બાદ ફિલ્મ રીલિઝ થતાં હિંસાની ધમકી ઉચ્ચારી હતી. કરણી સેનાએ ધમકી આપતા કહ્યું હતું કે, અમે જનતાની અદાલતમાં જઇશું. અમને તો પહેલા જ ખબર હતી કે સુપ્રીમ કોર્ટ શું નિર્ણય આપશે. કોર્ટ હિંદુઓની ભાવનાઓનું ધ્યાન રાખે. અમે ઇચ્છીએ છીએ કે આ અંગે કેન્દ્ર સરકાર નિર્ણય લે. કોર્ટના નિર્ણય બાદ હરિયાણાના મંત્રી અનિલ વિજે કહ્યું કે, જે સિનમાગૃહમાં 'પદ્માવત' રિલીઝ થશે, સરકાર તેમને સુરક્ષા આપશે. આમ છતાં, સુપ્રીમ કોર્ટે લોકોની ભાવનાને ધ્યાનમાં રાખવી જોઇતી હતી.












Click it and Unblock the Notifications
