લખીમપુર હિંસા મુદ્દે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, આવી ઘટનાઓની જવાબદારી કોઈ લેતું નથી!
દેશની સર્વોચ્ચ અદાલતે સોમવારે ખેડૂતોના આંદોલન પર દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન લખીમપુર ખીરી કેસ પર ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યારે આવી કમનસીબ ઘટનાઓ બને ત્યારે કોઈ જવાબદારી લેતું નથી.
નવી દિલ્હી, 4 ઓક્ટોબર : દેશની સર્વોચ્ચ અદાલતે સોમવારે ખેડૂતોના આંદોલન પર દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન લખીમપુર ખીરી કેસ પર ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યારે આવી કમનસીબ ઘટનાઓ બને ત્યારે કોઈ જવાબદારી લેતું નથી. આ દરમિયાન કેન્દ્ર તરફથી હાજર રહેલા એટર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું કે લખીમપુર ખીરી જેવી ઘટનાઓને રોકવા માટે આગળ કોઈ વિરોધ પ્રદર્શન ન થવા જોઈએ. તમને જણાવી દઈએ કે કિસાન મહાપંચાયતને જંતર-મંતર પર સત્યાગ્રહ કરવાની પરવાનગી આપવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજીની સુનાવણી ચાલી રહી છે.
આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ખેડૂત સંગઠનોને પૂછ્યું કે સુપ્રીમ કોર્ટે ત્રણ કૃષિ કાયદા પર રોક લગાવી છે અને આ કાયદાઓ લાગુ નથી તો તમે કેમ વિરોધ કરી રહ્યા છો? કોર્ટે વધુમાં કહ્યું કે કાયદાની માન્યતા અંગે સંગઠનોએ કોર્ટનો સંપર્ક કર્યા બાદ વિરોધ કરવાનો પ્રશ્ન ક્યાં આવે છે. નોંધનીય છે કે ખેડૂતો સંગઠનો છેલ્લા 10 મહિનાથી કૃષિ કાયદાને લઈને દિલ્હીની બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના ઠપકા બાદ ખેડૂતોએ દિલ્હીના જંતર-મંતર પર સત્યાગ્રહ કરવાની પરવાનગી માંગતી અરજી કરી હતી.
અહીં ઉલ્લેખનિય છે કે, કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓ સામે ખેડૂતોના વિરોધ દરમિયાન રવિવારે લખીમપુર ખીરીમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્રએ વિરોધ કરી રહેલા ખેડૂતો પર કાર ચડાવી દીધી હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 8 ખેડૂતોના મોત થયા છે, જે બાદ હંગામો મચ્યો છે અને રાજકારણ ગરમાયું છે. ઘણા વિપક્ષી નેતાઓને ત્યાં જવાથી રોકવામાં આવ્યા હતા, જેના કારણે ઘણા નેતાઓએ યોગી સરકાર સામે મોરચો ખોલ્યો છે.