સુપ્રીમ કોર્ટે કાવેરી જળ વિવાદ પર તમિલનાડુના પાણી કાપ અને કર્ણાટકને લાભ આપ્યો છે. ત્યારે શું છે આ વિવાદ વિગતવાર જાણો અહીં. સાથે જ જાણો સુપ્રીમ કોર્ટનો આ પરનો ચુકાદો.
સુપ્રિમ કોર્ટે કાવેરી નદી જળ વિવાદ મામલે આજે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એ એમ ખાનવિલકર અને જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડની બેઠકે તમિલનાડુને 177.25 TMC (thousand million cubic) પાણી આપવાનો આદેશ કર્યો છે. કોર્ટના આ નિર્ણયથી તમિલનાડુને મળતા પાણીમાં 15 TMCની કપાત કરવામાં આવી છે. આ પહેલાના આદેશમાં 192 TMC પાણી આપવાનો આદેશ હતો. આ નિર્ણયમાં કર્ણાટકને વધારાનું 14.75 TMC પાણી આપવાની વાત કરવામાં આવી છે. કોર્ટે આ નિર્ણય બે મુખ્ય બિંદુઓ પર કર્યો છે. જેમાં બેંગલુરુમાં પાણીની તકલીફ અને તમિલનાડુમાં 20 TMC અંડર ગ્રાઉન્ડ વોટર પહેલાથી જ હોવાની વાત પર ખાસ આધાર રાખવામાં આવ્યો છે.
સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કર્ણાટક માટે 14.75 ટીએમસી પાણી એટલા માટે આપવામાં આવે છે કારણ કે બેંગલુરુમાં પીવાના પાણીની સમસ્યા ચરમસીમા પર છે. નોંધનીય છે કે 2007માં કાવેરી મુદ્દે તમિલનાડુ અને કર્ણાટક સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઇ હતી. નોંધનીય છે કે ગત 11 વર્ષમાં પાણી મામલે સુપ્રીમ કોર્ટમાં અનેક વાર અલગ અલગ સુનવણીઓ થઇ છે. અને કાવેરી જળ વિવાદ 150 વર્ષ જૂનો છે. વિવાદના કારણે તમિલનાડુ અને કર્ણાટક રાજ્યમાં રાજકારણ પણ અવાર નવાર ગરમાતું રહે છે. અને બંને રાજ્યો પાણીને મામલે ઝગડતા પણ રહેતા હોય છે. જો કે પાછળથી આ વિવાદમાં કેરળ પણ પડ્યું હોવાના કારણે વિવાદ વધ્યો હતો. નોંધનીય છે કે કાવેરીનું ઉદ્દગમસ્થાન કર્ણાટકમાં કોડાગુ જિલ્લામાં થાય છે. માટે કર્ણાટકની હંમેશા તે માંગ રહેતી હોય છે કે ઉદ્દગમસ્થાન અહીં હોવાના કારણે તેનો આ પાણી પર સૌથી વધુ હક હોવો જોઇએ.