સુશીલ કુમાર શિંદે હેલિકોપ્ટર દુર્ઘટનામાં માંડ માંડ બચ્યા
મેરઠ, 10 નવેમ્બર: ઉત્તર પ્રદેશના મેરઠમાં રવિવારે કેન્દ્રિય ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદે હેલિકોપ્ટર દુર્ઘટના થતાં માંડ માંડ બચી ગયા હતા. હેલિકોપ્ટર ઉતરતી વખતે તેનું એક પૈડુ જમીન સાથે ઘસેડાઇ ગયું હતું.
સુશિલ કુમાર શિંદે આજે સવારે વાયુસેનાના એક હેલિકોપ્ટરથી મેરઠના પરતાપુર વિસ્તારમાં સ્થિત રેપિડ એક્શન ફોર્સ (આરએએફ)ની 108મી બટાલિયનના કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયા હતા. ઉતરતી વખયે હેલિકોપ્ટરનું પાછળનું એક પૈડુ જમીન (હેલિપેડ)માં ફસાઇ ગયું અને હેલિકોપ્ટર એક તરફ નમી ગયું હતું.
અકસ્માતમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતાં માંડ માંડ બચી ગયું હતું. સુશીલ કુમાર શિંદે અને તેમની સાથે હાજર અન્ય લોકોને સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ સુશીલ કુમાર શિંદે સીધા કાર્યક્રમ સ્થળ માટે રવાના થઇ ગયા હતા. સુશીલ કુમાર શિંદે અહી દેશની પ્રથમ રમખાણ નિયંત્રણ એકેડમીનું ઉદઘાટન કરવા માટે આવ્યા હતા.