સુષ્મા સ્વરાજ અલવિદા: ચાલો તમને આ કુશળ નેતાની રાજનૈતિક સફરે લઈ જઈએ
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને દેશના પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજનું 67 વર્ષની ઉમંરે નિધન થયુ છે. હાર્ટ એટેક આવ્યા બાદ તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને દેશના પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજનું 67 વર્ષની ઉમંરે નિધન થયુ છે. હાર્ટ એટેક આવ્યા બાદ તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં પાંચ ડૉક્ટરોની ટીમ તેમની પાછળ લગાવવામાં આવી હતી. જો કે ડૉક્ટરના તમામ પ્રયત્નો નિષ્ફળ સાબિત થયા હતા. મંગળવારે સાંજે લોકસભામાં કલમ 370 બિલ પાસ થયા બાદ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ટ્વીટ કરી અભિનંદન પાઠવ્યા હતા. તેમણે પોતાના અંતિમ ટ્વિટમાં લખ્યુ હતુ, પ્રધાનમંત્રી જી-તમને હાર્દિક અભિનંદન. હું જીવનમાં આ દિવસની રાહ જોઈ રહી હતી.
સુષ્મા સ્વરાજના ભાષણના વિપક્ષીઓ પણ હતા કાયલ
દેશના રાજકારણમાં મહિલા શક્તિનું સૌથી મોટું રૂપ તરીકે વિકસી આવેલ સુષ્મા સ્વરાજની છવી પ્રામાણિકતા, પ્રખર, મોહક અને મજબૂત નેતાની હતી. પક્ષ જ નહિં પણ વિપક્ષ પણ તેમના ભાષણના કાયલ હતા અને તે જ કારણે જ્યારે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી ન લડવાનું એલાન કરતા પક્ષ જ નહિં પણ વિપક્ષે પણ દુઃખ વ્યક્ત કર્યુ હતુ. પાકિસ્તાન હોય કે વિરોધી પક્ષ બંનેને સુષ્મા સ્વરાજે વિના મર્યાદા ગુમાવ્યે જડબાતોડ જવાબ આપ્યો છે.
સુષ્મા સ્વરાજનો જન્મ
મહિલાઓ માટે આદર્શ એવા સુષ્મા સ્વરાજનો જન્મ 14 ફેબ્રુઆરી 1952ના રોજ હરિયાણાના અંબાલામાં થયો હતો. તેમના પિતાનું નામ હરદેવ શર્મા અને માતાનું નામ લક્ષ્મી દેવી હતુ. તેમના પિતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ સભ્ય હતા. તેમનો પરિવાર મૂળ રૂપે લાહોરના ધરમપુરા વિસ્તારનું નિવાસી હતુ. તેમણે અંબાલાની સનાતન ધર્મ કૉલેજથી સંસ્કૃત અને રાજકીય વિજ્ઞાનમાં સ્નાતક કર્યુ હતુ. વર્ષ 1970માં તેમણે પોતાની કૉલેજમાં સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થીનું સન્માન મેળવ્યુ હતુ. ત્યાર બાદ તેમણે પંજાબ વિશ્વવિદ્યાલય, ચંડીગઢથી વિધિનું શિક્ષણ મેળવ્યુ. 1973માં તેઓ સ્વરાજ ભારતીય સર્વોચ્ચ ન્યાયાલયમાં અધિવક્તા પદે કામ કરવા લાગ્યા. 13 જુલાઈ 1973ના રોજ તેમના પ્રેમ વિવાહ સ્વરાજ કૌશલ સાથે થયા. જે સર્વોચ્ચ ન્યાયાલયમાં તેમના સહકર્મી અને સાથી અધિવક્તા હતા. સ્વરાજ દંપતિની એક પુત્રી છે, બાંસુરી જેણે લંડનમાં ઈનર ટેમ્પલથી વકિલાત કરી છે.
રાજકીય સફર
સુષ્મા સ્વરાજનના રાજનૈતિક કેરિયરની વાત કરીએ તો, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(એ.બી.વી.પી) સાથે તેમના રાજનૈતિક કેરિયરની શરૂઆત થઈ. તેમણે ઈમરજન્સીના વિરોધમાં સક્રિય પ્રચાર કર્યો હતો. જુલાઈ 1977માં તેમને ચૌધરી દેવીલાલની કેબિનેટમાં મંત્રી બનાવવામાં આવ્યા. ભાજપા લોકદળની હરિયાણામાં આ ગઠબંધન સરકારમાં તે શિક્ષણ મંત્રી હતી. 27 વર્ષની ઉંમરે તેઓ 1979માં જનતા પાર્ટી (હરિયાણા)ની અધ્યક્ષ બની ગઈ હતી. એપ્રિલ 1990માં સાંસદ બની અને 1990-96 દરમિયાન રાજ્યસભામાં રહી. 1996માં તેઓ 11મી લોકસભા માટે ચૂંટાઈ હતી અને અટલ બિહારી વાજપાઈની 13 દિવસની સરકારમાં માહિતી અને પ્રસારણ મંત્રી રહી. 12મી લોકસભા માટે તેઓ ફરી દક્ષિણ દિલ્હીથી ચુંટાઈ અને ફરી તેમને માહિતી અને પ્રસારણ મંત્રાલય ઉપરાંત દૂરસંચાર મંત્રાલયનો વધારાનો કાર્યભાળ સોંપાયો. ઓક્ટોબર 1998માં તેમણે કેન્દ્રીય મંત્રીમંડળથી રાજીનામુ આપી દીધુ અને દિલ્હીની પહેલી મહિલા મુખ્યમંત્રી બની ગઈ. જો કે ત્યાર બાદ વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટી હારી ગઈ.
સોનિયા ગાંધી વિરુદ્ધ લડ્યા ચૂંટણી
વર્ષ 1996માં તેમણે સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વિરુદ્ધ બેલ્લારી સંસદ ક્ષેત્રથી કર્ણાટકમાં ચૂંટણી લડી અને હારી ગયા. વર્ષ 2000માં તેઓ ફરી રાજ્યસભામાં પહોંચી અને તેમને ફરી માહિતી અને પ્રસારણ મંત્રી બનાવવામાં આવ્યા. તેઓ મે 2004 સુધી સરકારમાં રહી. એપ્રિલ 2009માં મધ્યપ્રદેશથી રાજ્યસભા માટે ચૂંટાઈ હતી અને તે રાજ્યસભામાં પ્રતિપક્ષની ઉપનેતા રહી. ત્યાર બાદ વિદિશાથી લોકસભા માટે ચૂંટાઈ અને તેમણે લાલકૃષ્ણ અડવાણીને સ્થાને નેતા પ્રતિપક્ષ બનાવવામાં આવ્યા. વર્ષ 2014માં તેઓ એક વાર ફરી વિદિશાથી લડ્યા અને ભારે બહુમત સાથે વિજયી થયા અને નરેન્દ્ર મોદી સરકારમાં વિદેશમંત્રી બન્યા.
ટ્વિટરના સૌથી લોકપ્રિય નેતાઓમાંના એક
ટ્વિટર પર સૌથી લોકપ્રિય હસ્તિમાંની એક સુષ્મા સ્વરાજની ઘણી બધી ખૂબીઓ હતી. સુષ્મા સ્વરાજ ભાજપની પ્રથમ મહિલા નેતા હતી કે જે મુખ્યમંત્રી, કેન્દ્રિય મંત્રી, મહાસચિવ, પ્રવક્તા, વિપક્ષની નેતા અને વિદેશમંત્રી તરીકે કામ કરી ચૂક્યા છે. તે ભારતીય સાંસદની એકલી મહિલા સાંસદ હતી જેને અસાધારણ સાંસદનો પુરસ્કાર પ્રાપ્ત છે. તેણી ભાજપની એકમાત્ર એવી નેતા હતી, જેણે ઉત્તર અને દ.ભારત બંને જગ્યાએથી ચૂંટણી લડી હતી. ઉપરાંત હરિયાણામાં હિન્દી સાહિત્ય સંમેલનની ચાર વર્ષ સુધી અધ્યક્ષ રહી. પુસ્તકોની રસિયા સુષ્મા સ્વરાજને પોતાની સંસ્કૃતિ અને પરંપરા પર અભિમાન હતુ. જેને કારણે જ તેઓ દેશમાં હોય કે પરદેશમાં પણ પોતાની ભારતીય ઓળખ સાથે કોઈ બાંધછોડ કરવા તૈયાર ન્હોતા. જેને કારણે દેશ જ નહિં પણ વિદેશમાં પણ તેઓ એક લોકપ્રિય રાજનૈતિક હસ્તિ રહ્યા. તેમનું જવુ ભાજપ માટે અપૂર્ણીય ક્ષતિ છે, જેની ભરપાઈ કોઈ કરી શકે નહિં.