Tawang clash : ભારત અને ચીન સેના વચ્ચેના ઘર્ષણ બાદ ચીને આપ્યું નિવેદન, કહી આ વાત
અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણ પર સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સંસદમાં નિવેદન આપ્યું છે, જે બાદ હવે આ મુદ્દે ચીન તરફથી પણ નિવેદન આપવામાં આવ્યું છે.
Tawang clash : 9 ડિસેમ્બરના અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતીય અને ચીની સૈનિકો પર વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણમાં ભારતીય સેનાએ ચીની સેનાને ભારતીય સરહદની બહાર મોકલવામાં સફળતા મળી છે.
આ વચ્ચે અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણ પર સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સંસદમાં નિવેદન આપ્યું છે, જે બાદ હવે આ મુદ્દે ચીન તરફથી પણ નિવેદન આપવામાં આવ્યું છે. ચીને જણાવ્યું છે કે, હાલમાં ભારતીય સરહદે પરિસ્થિતિ સ્થિર છે.
ઉલ્લેખનીય છે કે, રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોકસભા અને રાજ્યસભામાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે, PLAએ ભારતીય સરહદ પર અતિક્રમણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ભારતીય સૈનિકોએ બહાદુરીપૂર્વક ચીની સૈનિકોને ભગાડી મૂક્યા હતા. આ ઘર્ષણમાં કોઈપણ ભારતીય સૈનિક ઘાયલ થયો નથી.
બીજી તરફ ચીનના મીડિયામાં અત્યાર સુધી સૈનિકોના ઘર્ષણ અંગેના સમાચાર આવ્યા નથી. ચીનના ગ્લોબલ ટાઈમ્સ અખબારની અંગ્રેજી આવૃત્તિના સંપાદક હુ શિજિનની માત્ર એક પોસ્ટ જ ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં શિજિને ભારત-ચીન સૈનિકો વચ્ચેની ઘર્ષણ અને જાનહાનિ વિશે વાત કરી છે.
ભારતીય સેના તરફથી અધિકૃત નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં LACના કેટલાક વિસ્તારોમાં બંને દેશોની પેટ્રોલિંગ પાર્ટી તેમના દાવાવાળા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. વર્ષ 2006થી બંને દેશના સૈનિકોની આ પરંપરા રહી છે.
9 ડિસેમ્બર 2022ના રોજ, PLA સૈનિકો તવાંગ સેક્ટરની નજીક આવ્યા, જેનો આપણી સેનાના જવાનોએ દૃઢતા અને નિશ્ચય સાથે સામનો કર્યો હતો. આ દરમિયાન બંને પક્ષના સૈનિકોને સામાન્ય ઈજા થઈ છે. બંને પક્ષો તરત જ તે વિસ્તારથી દૂર ગયા હતા. આ ઘટના બાદ ભારતીય સેના એરિયા કમાન્ડરે ચીની આર્મી કમાન્ડર સાથે ફ્લેગ મીટિંગ કરી હતી અને આ મુદ્દા પર ચર્ચા કરી હતી, જેથી કરીને સ્થિતિ ફરી સામાન્ય થઈ શકે.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ લદ્દાખમાં ઓગસ્ટ 2020 બાદ ભારતીય અને ચીન સેનાઓ વચ્ચે આ પહેલી મોટી ઝડપ છે. ભારતીય અને ચીન સૈનિકો વચ્ચે ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ યાંગ્ત્સે પાસે આવી જ રીતે ભારત ચીન જવાનો આસામનેસામને આવી ગયા હતા. જે બાદ સ્થાપિત પ્રોટોકોલ અનુસાર બંને દેશોના સ્થાનિય કંમાન્ડરો વચ્ચે વાતચીત બાદ તેનું નિરાકણ લાવામાં આવ્યું હતું.