તહેલકા બળાત્કાર કેસ: હેકરે ટ્વિટ કરી પીડિતાનું નામ જાહેર કર્યું છે: મીનાક્ષી
નવી દિલ્હી, 30 નવેમ્બર: તહેલકા બળાત્કાર કેસમાં તરૂણ તેજપાલના બહાને કોંગ્રેસ પર નિશાનો સાધી રહેલી ભાજપની પ્રવક્તા મીનાક્ષી લેખી જાતે મુશ્કેલીમાં ફંસાઇ ગઇ છે. જાણીતી વકીલ મીનાક્ષીએ એક ટ્વીટમાં પીડિત મહિલા પત્રકારના ઉપનામનો ખુલાસો કરી દીધો હતો જેનાથી તેઓ વિરોધીઓ અને મહિલા પંચના નિશાના પર આવી ગયા છે.
મીનાક્ષીએ આ ટ્વિટને તુરંત જ પેજ પરથી હટાવી લીધું હતું પરંતુ ત્યા સુધી આની જાણકારી સૌને મળી ચૂકી હતી કારણ કે તેમને લગભગ એક લાખ લોકો ફોલો કરે છે. મીનાક્ષીએ આ ઘટનાને પોતાની વિરુદ્ધ રાજનૈતિક ષડયંત્ર ગણાવ્યું છે.
રાષ્ટ્રીય મહિલા પંચની અધ્યક્ષ શમીમા શફીકે મીનાક્ષી લેખીના ટ્વિટને શરમજનક બતાવતા જણાવ્યું કે એક જવાબદાર નેતા હોવાના નાતે મીનાક્ષી લેખીએ આવું ન્હોતું કરવું જોઇતું. મહિલા પંચ તેમને નોટિસ મોકલીને જવાબ માંગશે.
જોકે આ મામલો વધું ચગતા પ્રવક્તા મીનાક્ષી લેખીએ સ્પષ્ટતા આપતા જણાવ્યું છે કે આ મારા વિરુદ્ધ રાજનૈતિક ષડયંત્ર રચવામાં આવ્યું છે. જે ટ્વિટની વાત કરવામાં આવી રહી છે, તે તેમના દ્વારા કરવામાં નથી આવ્યું. તેમનું ટ્વિટર એકાઉન્ટ કોઇએ હેક કરી લીધું હતું અને તેણે જ આ કૃત્ય કર્યું છે. મીનાક્ષીના આ જવાબથી મહિલા પંચ કેટલું સંતુષ્ઠ થાય છે, એ આવનારા દિવસોમાં ખબર પડી જશે.