પતિ છુપાવી રહ્યો હતો પગાર, પત્નીએ અપનાવી એવી રીત કે ખૂલી ગઇ પોલ
તમારી આવક કેટલી છે? આ સવાલ ઘણા લોકોને અસહજ કરી દે છે. આવી ગોપનીય જાણકારી ફક્ત પરિવારના લોકોને જાણ હોય છે. જોકે, લગ્નજીવનના વિવાદના કિસ્સામાં વસ્તુઓ અલગ રીતે હોય છે.
તમારી આવક કેટલી છે? આ સવાલ ઘણા લોકોને અસહજ કરી દે છે. આવી ગોપનીય જાણકારી ફક્ત પરિવારના લોકોને જાણ હોય છે. જોકે, લગ્નજીવનના વિવાદના કિસ્સામાં વસ્તુઓ અલગ રીતે હોય છે. જ્યારે તમે છૂટાછેડા માટે અરજી કરો છો તો ભાવાત્મક પડકારો સાથે સાથે તમારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
સંપત્તિ બે લોકો વચ્ચે વહેંચાય છે. જ્યારે છૂટાછેડા પરસ્પર સહમતિથી ન થાય તો પતિની આવકની જાણકારી પત્ની માંગી શકે છે. આ સાથે પત્ની ખાધા-ખોરાકીની પણ માંગણી કરી શકે છે.
જો પતિ આવકની જાણકારી ન આપે તો પત્ની બીજી રીતે પણ આવકની જાણકારી મેળવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, હાલમાં સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન દ્વારા આવકવેરા વિભાગને સૂચન કર્યું હતું કે, તે 15 દિવસની અંદર મહિલાને તેના પતિની નેટ ટેક્સેબલ ઇન્કમ/ગ્રોસ ઇન્કમની જાણકારી આપે.
શું છે સમગ્ર ઘટના
સંજુ ગુપ્તા નામની મહિલાએ નાણાકીય વર્ષ 2018-19 અને 2019-20માં તેના પતિની નેટ કરપાત્ર આવક / કુલ આવકની વિગતો જાણવા માટે RTI દાખલ કરી હતી.
શરૂઆતમાં સેન્ટ્રલ પબ્લિક ઇન્ફર્મેશન ઓફિસર (CPIO), આવકવેરા વિભાગની બરેલી કચેરીના આવકવેરા અધિકારીએ RTI હેઠળ આ માહિતી આપવાનો ઇન્કાર કર્યો હતો. કારણ કે, પતિ તેના માટે સહમત ન હતો.
ગુપ્તાએ CICમાં બીજી અપીલ દાખલ કરવી પડી
જે બાદ મહિલાએ અપીલ દાખલ કરી અને ફર્સ્ટ એપેલેટ ઓથોરિટી (FAA) પાસે મદદ માગી હતી. જોકે, આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, FAA એ CPIOના આદેશને સમર્થન આપ્યું હતું અને ગુપ્તાએ CICમાં બીજી અપીલ દાખલ કરવી પડી હતી.
CICએ કરી જૂના નિર્ણયો પર નજર
કેન્દ્રીય માહિતી આયોગ દ્વારા તેમના જૂના આદેશો અને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના નિર્ણયોની નોંધ લેવામાં આવી હતી, ત્યારબાદ 19 સપ્ટેમ્બર, 2022ના રોજ ચુકાદો સંભળાવ્યો હતો. CIC એ CPIO ને 15 દિવસની અંદર પતિની ચોખ્ખી કરપાત્ર આવક/કુલ આવક વિશે પત્નીને જાણ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
જાહેર હિતની શરત પૂરી થાય તો તેને મંજૂરી આપી શકાય છે
ઉલ્લેખનીય છે કે, મિલકતો, જવાબદારીઓ, આવકવેરા વળતર, રોકાણની માહિતી, લોન વગેરે વ્યક્તિગત વિગતોની શ્રેણીમાં આવે છે. RTI કાયદાની કલમ 8(1)(j) મુજબ, આવી વ્યક્તિગત માહિતી સુરક્ષિત રાખવી જરૂરી છે. જોકે, સુભાષ ચંદ્ર અગ્રવાલ કેસમાં કોર્ટે જણાવ્યું હતું કે, જો જાહેર હિતની શરત પૂરી થાય તો તેને મંજૂરી આપી શકાય છે.