સંસદની નવી ઇમારતનું નામ આંબેડકરના નામ પર રાખવામાં આવે- કે.ચંદ્રશેખર રાવ
નવી દિલ્હી : તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે મોટી જાહેરાત કરતા કહ્યું કે અમે નવા સંસદ ભવનનું નામ બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના નામ પર રાખવા માટે વિધાનસભામાં ઠરાવ પસાર કરીશું. આ સાથે કેસીઆરએ કહ્યું કે અમે કેન્દ્ર સરકારને અપીલ કરીએ છીએ કે સંસદની નવી ઇમારતનું નામ બાબા સાહેબના નામ પર રાખે. મંગળવારે તેલંગાણા વિધાનસભામાં સંસદની નવી ઇમારતનું નામ આંબેડકરના નામ પર રાખવાનો પ્રસ્તાવ લાવવામાં આવશે. આ સાથે કેસીઆરે કહ્યું કે આંબેડકરનું સ્થાન તેમના સમયમાં નેલ્સન મંડેલા અને ચે ગૂવેરા જેવું જ હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, આંબેડકર એવા લોકોમાંના એક હતા જેમણે દલિત લોકોના ઉત્થાન માટે મહાન કાર્ય કર્યું હતું. એમાં કોઈ શંકા નથી કે બાબાસાહેબનું સ્તર ચે ગૂવેરા અને નેલ્સન મંડેલાની સમકક્ષ છે. આટલું જ નહીં, જો બાબા સાહેબે બંધારણમાં આ માટે એક અનુચ્છેદ ન ઉમેર્યો હોત તો તેલંગાણાની રચના થઈ શકી ન હોત. તેલંગાણા રાષ્ટ્ર સમિતિના વડાએ કહ્યું કે અમે કેન્દ્ર સરકાર દ્વારા ઉર્જા ક્ષેત્રે કરાયેલા ફેરફારો સામે ગૃહમાં પ્રસ્તાવ રજૂ કરીશું, આ ફેરફારથી લગભગ 1 કરોડ લોકોને અસર થશે.
કેસીઆરે કહ્યું કે કેન્દ્રએ બધું બરબાદ કરી દીધું છે. નવી ઉર્જા નીતિથી કૃષિ ક્ષેત્રને ખરાબ અસર થશે. વિધાન પરિષદના સભ્ય કેસીઆરની પુત્રી કે કવિતાએ તેમના પિતાની માંગનું સમર્થન કર્યું છે. કવિતાએ કહ્યું કે અમારા મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે અમે ગૃહમાં કેન્દ્રના ઉર્જા સુધારાનો વિરોધ કરીશું. અમારા રાજ્યની માંગ છે કે બંધારણના નવા ભવનનું નામ ડૉ.બી.આર. આંબેડકરનું નામ રાખવું જોઈએ.