કાનપુર, 14 એપ્રિલ : ભારતીય જનતા પાર્ટીને તેના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દેખાઇ રહી નથી અથવા તો તેઓ આ હકીકતને ગળે ઉતારી શકતા નથી. તેઓ નરેન્દ્ર મોદીની દેશવ્યાપી લહેર ઉઠી છે તેને માનવા માંગતા નથી. આ સ્થિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓમાં જોવા મળી રહી છે.
આ વરિષ્ઠ નેતાઓ પૈકી મુરલી મનોહર જોશીએ કાનપુરમાં એક રેલીમાં જણાવ્યું કે 'અહીં ક્યાં દેખાય છે નરેન્દ્ર મોદીની લહેર? અહીં તો ભાજપની લહેર છે. આ વખતે દિલ્હીમાં મોદી નહીં એનડીએની સરકાર રચાશે. મોદી તો એક ઉમેદવાર માત્ર છે.'
તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદીને દેશભરના નેતાઓનો ટેકો મળી રહ્યો છે. આમ થવામાં ભાજપની મદદ મળી છે, નહીં કે મોદીની. જો ભાજપના નેતૃત્વવાળી એનડીએ જીતશે તો ગુજરાતને મોડેલને એનડીએ મોડેલ તરીકે અમલી બનાવવામાં આવશે નહીં.
જોશીએ એમ પણ જણાવ્યું કે પૂર્વ ભાજપ નેતા જસવંત સિંહને બાડમેર સંસદીય મત વિસ્તારમાંથી ટીકિટ આપવાનો ઇનકાર કરવાનો નિર્ણય સામુહિક નિર્ણય ન હતો. આ નિર્ણય ચર્ચા કરીને લેવામાં આવ્યો ન હતો. આ મુદ્દાને અલગ રીતે હાથ પર લેવાની જરૂર હતી. તેમણે જણાવ્યું કે ભાજપની લહેર ભલે જનસભાઓમાં જોવા મળી રહી હોય પરંતુ પાર્ટીની અંદર ચૂંટણી પહેલાથી જ ગોળીબાર થઇ રહ્યો છે. સમયાંતરે ભાજપના નેતાઓ જ પાર્ટીની અંદર ચાલી રહેલી ખેંચતાણને જાહેરમાં કહી જણાવે છે.