વણઝારાના પત્રમાં કાયદાકીય કાયદેસરતા નથી : CBI
નવી દિલ્હી, 6 સપ્ટેમ્બર : જેલમાં બંધ ગુજરાતના આઇપીએસ ઓફીસર ડી જી વણઝારાના પત્રએ ભલે હંગામો મચાવ્યો હોય, પરંતુ સીબીઆઇનું માનવું છે કે પત્રના આધારે કોઇ નવી તપાસ થઇ શકે તેમ નથી. સીબીઆઇના વડા રંજીત સિંહાનું કહેવું છે કે આ પત્રની કોઇ કાયદેસર કાયદેસરતા નથી. વણઝારાનો પત્ર એક "રાજકીય'' પત્ર છે તેનું કોઇ કાયદેસર રીતે કોઇ મહત્વ નથી.
સીબીઆઇના વડા સિંહાએ કહ્યું છે કે આ પત્ર માત્ર રાજકીય રીતે મહત્વ ધરાવે છે. નકલી એન્કાઉન્ટર મામલે સીબીઆઇ અગાઉ જ ચાર્જશીટ દાખલ કરી ચૂકયું છે અને જયાં સુધી કોઇની વિરૂદ્ધ નક્કર પુરાવા ન મળે ત્યાં સુધી અમે કોઇ નવી તપાસ શરૂ કરવા માંગતા નથી. સીબીઆઇના આવા વલણથી મોદી વિરોધીઓને પછડાટ મળી શકે છે.
અત્રે એ નોંધનીય છે કે વણઝારાએ ગુજરાત સરકારને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે તેઓ સરકારની નીતિ હેઠળ જ એન્કાઉન્ટર કરતા હતાં. વણઝારાએ નરેન્દ્ર મોદીના વિશ્વાસુ અમિત શાહ ઉપર પણ પ્રહારો કર્યા હતાં અને તેમને શૈતાન પણ કહ્યાં હતાં. વણઝારા ઉપર ઇશરત જહાં, કૌશર બી, સોહરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિના નકલી એન્કાઉન્ટરનો આરોપ છે.
સીબીઆઇના વડાએ કહ્યું છે કે અમે તેમના પત્રને ચકાસી રહ્યાં છીએ પણ એનો અર્થ એ નથી કે એન્કાઉન્ટરના કેસમાં કોઇ નવી તપાસ શરૂ થાય. અમને જો કોઇ કડી કે પુરાવો મળે તો વણઝારાની પૂછપરછ કરશું. તેઓ આઠ વર્ષ બાદ કેમ બોલ્યા અને શા માટે કોના માટે બોલ્યા તે અમારા કેસ માટે પુરાવો નથી. સીબીઆઇના સૂત્રો પણ કહે છે કે તે મોદી વિરૂદ્ધ નવેસરથી તપાસ કરવા માંગતા નથી.