આ પત્રકારોની જેમ જ ગૌરી લંકેશની પણ કરાઇ હત્યા
ગૌરી લંકેશની જેમ આ પત્રકારો પણ સત્ય અને પોતાના વિચારોને વ્યક્ત કરવા માટે મોતને ભેટવું પડ્યું. કન્નડ પત્રકાર ગૌરી લંકેશ સિવાય અન્ય કયા પત્રકારોની આ રીતે જ હત્યા કરવામાં આવી છે તે અંગે વિગતવાર જાણો અહીં
વરિષ્ઠ પત્રકાર ગૌરી લંકેશની બેંગલુરુના રાજારાજેશ્વરી નગરમાં તેમના નિવાસ સ્થાને જ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. રિપોર્ડ મુજબ તેમની પર સાત ગોળીની ફાયરિંગ થયું હતું અને તેમાંથી ત્રણ ગોળીઓ ગૌરીના શરીર પર લાગતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે આ ઘટના પછી કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પત્રકારની આ હત્યાને લોકતંત્રની હત્યા કહી હતી. ગૌરી કટ્ટર હિંદુ સંગઠન વિરુદ્ધ લખતી હતી. અને નક્સલીઓ તરફ પણ સહાનુભૂતિ ધરાવતી હતી. પણ આવું પહેલી વાર નથી બન્યું કે કોઇ પત્રકારની આ રીતે નિર્મમ હત્યા કરવામાં આવી હોય આ પહેલા પણ અનેક વાર પત્રકારોને પોતાના મંતવ્યને રાખવા માટે પોતાના પ્રાણની કિંમત ચૂકવવી પડી છે.
રામચંદ્ર છત્રપતિ
પંચકૂલામાં સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટે ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત સિંહ રામ રહીમને રેપ કેસમાં સજા સંભળાવી. 2002માં આ રેપ કેસની જાણકારી પત્રકાર રામચંદ્ર છત્રપતિએ પહેલી વાર આપી હતી. રામચંદ્ર છત્રપતિ સિરસામાં સાંધ્ય દૈનિક પૂરા સચના સંપાદક હતા. તેમણે સાધ્વી પર થયેલા કથિત રેપની ખબર છાપી હતી. જેના થોડા મહિના બાદ તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
રાજદેવ રંજન
બિહારના સીવાનમાં એક હિન્દી દૈનિકના વરિષ્ઠ પત્રકાર રાજદેવ રંજનની પણ રેલ્વે સ્ટેશન પાસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જેની તપાસ હજી પણ ચાલી રહી છે. આ મામલે આરજેડી નેતા અને પૂર્વ સાંસદ શહાબુદ્દીન આરોપી હતા. રાજદેવ રંજને આ વિસ્તારના અપરાધીઓ વિરુધ્ધ લખી રહ્યા હતા. અને તેના કારણે જ તેમની હત્યા કરવામાં આવી હોય તેમ મનાઇ રહ્યું છે.
કમલેશ જૈન
મધ્ય પ્રદેશના મંદસૌરના પિપલીયામંડીના આ વર્ષે જ 31 મેના રોજ સ્થાનિક પત્રકાર કમલેશ જૈનની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેની પણ તપાસ હજી સુધી થઇ રહી છે. 31 મેના રોજ સાંજે સાત વાગ્યાની આસપાસ જ્યારે જૈન બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે બે અજ્ઞાત વ્યક્તિઓએ તેમની ગોળી મારીને હત્યા કરી હતી.
ગૌરી લંકેશ
ગૌરી લંકેશ પણ લાંબા સમયથી કટ્ટર હિંદુવાદી સંગઠનો વિરુદ્ધ લખતી આવી છે. તેમણે નક્સલવાદ પર પણ અનેક લેખ લખ્યા છે. ત્યારે બેંગલુરુમાં ગત મંગળવારે તેમના ઘરની બહાર જ ત્રણ લોકોએ બાઇક પર આવીને તેમની પર 7 ગોળીના રાઉન્ડ કર્યા હતા. જેમાંથી ત્રણ ગોળી ગૌરીને લાગતા ઘટના સ્થળે જ તેમનું મોત થયું હતું.