ઇમ્ફાલ, 21 ડિસેમ્બર : પૂર્વોત્તરના રાજ્ય મણિપુરમાં પાટનગર ઇમ્ફાલ ખાતે રવિવારની શરુઆથ ધડાકાઓ સાથે થઈ. ઇમ્ફાલમાં સવાર-સવારમાં જ આઈઈડી બ્લાસ્ટ થયો અને તેમાં ત્રણ લોકોના મોત થઈ ગયા, જ્યારે 4 વ્યક્તિઓને ઈજા પહોંચી.
મળતી માહિતી મુજબ ઇમ્ફાલ ખાતે આ બ્લાસ્ટ આઈઈડી વડે કરવામાં આવ્યો. પોલીસ સૂત્રોની માનીએ, તો આ ધડાકા પાછળ ઉગ્રવાદીઓનો હાથ હોવાની શંકા સેવાઈ રહી છે.
ઉગ્રવાદીઓએ ઇમ્ફાલના ગિર્દી ધરાવતા વિસ્તારને નિશાન બનાવતાં આ ધડાકો કર્યો. આ ધડાકામાં ત્રણ લોકોના મોત થઈ ગયાં, જ્યારે ચાર જણા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયાં. ઈજાગ્રસ્તોમાં એકની હાલત ખૂબ જ નાજુક બતાવાઈ રહી છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હૉસ્પિટલે લઈ જવાયાં છે.
બ્લાસ્ટની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તપાસ હાથ ધરી દેવામાં આવી છે. જોકે હજી સુધી કોઈની પણ ધરપકડ કરવામાં આવી નથી. એટલુ જ નહીં, એ બાબતની પણ જાણ નથી થઈ શકી કે આ બ્લાસ્ટ પાછળનું કારણ શું હશે. નોંધનીય છે કે એક અઠવાડિયા પહેલા પણ અહીં એક બૉમ્બ બ્લાસ્ટ થયો હતો કે જેમાં એક વ્યક્તિનું મોત થઈ ગયુ હતું.