ઉત્તરાખંડમાં તીરથ સિંહ રાવતની તાજપોશી, રાજ્યના 10મા સીએમ બન્યા
ઉત્તરાખંડમાં તીરથ સિંહ રાવતની તાજપોશી, રાજ્યના 10મા સીએમ બન્યા
આમ તો પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી છે, પરંતુ હાલ ઉત્તરાખંડના રાજકારણે સૌથી વધુ ગરમાવો પકડ્યો છે, જ્યાં મંગળવારે ત્રિવેંદ્ર સિંહ રાવતે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. જે બાદ બુધવારે તીરથ સિંહ રાવતના નામ પર મોહર લાગી અને તેમણે સાંજે ચાર વાગ્યે રાજ્યના 10મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. હાલના સમયમાં તીરથ સિંહ પૌડી ગઢવાલ લોકસભા સીટથી સાંસદ પણ છે.
જણાવી દઈએ કે મંગળવારે ત્રિવેંદ્ર રાવતના રાજીનામા બાદ બુધવારે દેહરાદૂનમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી. આ બેઠક માટે ભાજપ હાઈકમાન્ડે કેન્દ્રીય પર્યવેક્ષક રમન સિંહ અને પ્રદેશ પ્રભારી દુષ્યંત કુમાર ગૌતમને દિલ્હીથી મોકલ્યા હતા. આ ઉપરાંત બેઠકમાં ત્રિવેંદ્ર સિંહ રાવત, સતપાલ મહારાજ સહિત કેટલાય મંત્રી અને ધારાસભ્ય હાજર રહ્યા. શરૂઆતમાં માનવામાં આવી રહ્યું હતું કે કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ નિશંક, રાજ્ય સરકારમાં મંત્રી સતપાલ મહારાજ મુખ્યમંત્રી પદની રેસમાં આગળ છે, પરંતુ બેઠકમાં તીરથ સિંહ રાવતના નામ પર મોહર લાગી. જે બાદ રાજ્યપાલે તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા.
સાંસદ છે તો મુખ્યમંત્રી કેવી રીતે બન્યા?
નિયમો મુજબ ધારાસભ્ય ના હોય તો પણ મુખ્યમંત્રી પદના શપથ લઈ શકાય છે. જે બાદ મુખ્યમંત્રીને 6 મહિનાનો સમય મળે છે. આ સમય સીમામાં તેમનું વિધાનસબાનું સભ્ય બનવું ફરજીયાત બની જાય છે. જો આવું ના થયું તો તેમણે મુખ્યમંત્રી પદ છોડવું પડે છે. ઉત્તરાખંડની વાત કરીએ તો તીરથ સિંહ રાવત હાલ સંસદની સભ્યતાથી રાજીનામું આપી મુખ્યમંત્રી બની જશે, પરંતુ ત્યાં વિધાન પરિષદ નથી, જે કારણે 6 મહિનામાં તેમણે વિધાનસભા ચૂંટણી જીતીને સદનમાં જવું પડશે.