મોદી માટે ડબલ બોનાંઝા : અમદાવાદમાં રાહત, તો દિલ્હીથી આવ્યું ‘બોનસ’!
અમદાવાદ, 26 ડિસેમ્બર : ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે આજનો દિવસ એટલે કે 26મી ડિસેમ્બર, 2013નો દિવસ યાદગાર બની રહેશે. ગઈકાલ સુધી મીડિયામાં આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ છવાયેલા હતાં અને છેલ્લા કેટલાંક દિવસથી નરેન્દ્ર મોદી હૅડલાઇન્સમાંથી બહાર હતાં, પરંતુ ગુરુવારનો દિવસ ફરી મોદીમય બની ગયો.
ગુરુવારનો દિવસ એટલે કે 26મી ડિસેમ્બર, 2013નો દિવસ નરેન્દ્ર મોદી માટે મહત્વનો સાબિત થયો. આજે સૌથી મોટી બાબત એ હતી કે મોદીએ આજે ગુજરાતમાં ત્રીજી વખત શાસન સંભાળ્યાને એક વર્ષ પૂર્ણ થયુ હતું. મોદીએ આ માહિતી પોતે પણ ટ્વિટર ઉપર પોતાના શપથ ગ્રહણ સમારંભ પ્રસંગની તસવીર પોસ્ટ કરી શૅર કરી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં ત્રીજી વખત બહુમતી હાસલ કરી નરેન્દ્ર મોદીએ 26મી ડિસેમ્બર, 2012ના રોજ શપથ ગ્રહણ કર્યા હતાં અને આજે તેની પહેલી વર્ષગાંઠ હતી. એક તરફ નરેન્દ્ર મોદી અને તેમની સરકાર સત્તાની પ્રથમ વર્ષગાંઠ ઉજવી રહી હતી, તો બીજી તરફ સવારથી મીડિયામાં અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટના આવનારા ચુકાદા અંગે ચર્ચાઓ હતી. ગુજરાત રમખાણો અંગે એસઆઈટીની ક્લોઝર રિપોર્ટે નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ આપી હતી અને એસઆઈટીની રિપોર્ટ માન્ય ઠરશે કે કેમ? તે જાણવા સૌ આતુર હતાં અને તેવામાં કેન્દ્ર સરકારે ધડાકો કર્યો.

આમ રાજકીય વિશ્લેષકોની માનીએ નરેન્દ્ર મોદી માટે કેન્દ્રનો આ નિર્ણય ફાયદાકારક જ નિવડવાનો છે, કારણ કે અગાઉ પણ જ્યારે-જ્યારે નરેન્દ્ર મોદીને આ પ્રકારે રોકવાની કે દબાવવાની કોશિશો કરાઈ છે, મોદી બમણી ઝડપે આગળ વધતા રહ્યાં છે. એમેય નરેન્દ્ર મોદી સીબીઆઈનું નામ લઈ કેન્દ્ર ઉપર હુમલો કરતા જ રહે છે અને પ્રજાને તેમની વાત ગળે પણ ઉતરે જ છે. હવે મોદી આ પંચ મુદ્દે પણ કોંગ્રેસને ભીંસમાં લેશે, તેમાં કોઈ બેમત નથી.
કેન્દ્રના આ નિર્ણયની ચર્ચાઓ ચાલતી હતી કે ત્યાં અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટનો ચુકાદો પણ આવી ગયો. આ ચુકાદો નરેન્દ્ર મોદી માટે મોટી રાહત સમાન હતો. કોર્ટે એસઆઈટી દ્વારા નરેન્દ્ર મોદીને ગુજરાતના રમખાણો અંગે ક્લીન ચિટ આપવાને યોગ્ય ઠેરવી. એસઆઈટીએ પોતાની ક્લોઝર રિપોર્ટમાં મોદીને ક્લીન ચિટ આપી હતી કે જેને ઝાકિયા જાફરીએ સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી અમદાવાદની સ્થાનિક અદાલતમાં જ કરવાનુ જણાવ્યુ હતું અને અમદાવાદની કોર્ટનો ચુકાદો પણ આવી ગયો.
નરેન્દ્ર મોદી માટે એક તરફ અમદાવાદ કોર્ટ તરફથી મોટી રાહત આપનારો ચુકાદો આવ્યો, તો આ ચુકાદા પહેલા જ કેન્દ્ર સરકારે રાજકીય રીતે બોનસ સાબિત થનાર તપાસ પંચ નીમવાનો નિર્ણય કરી નાંખ્યો હતો. આમ જોવા જઇએ તો નરેન્દ્ર મોદી માટે આજનો દિવસ એટલે કે 26મી ડિસેમ્બર, 2013નો દિવસ ડબલ બોનાંઝા સાબિત થયો.












Click it and Unblock the Notifications
