આ ચાર લોકોને ફાળે જાય છે, GST બિલનો શ્રેય
ભાજપ દેશમાં સૌથી મોટા ટેક્સ રિફોર્મનો શ્રેય લેવા માટે તૈયાર છે, પરંતુ આ મામલે સૌથી વધુ શ્રેય નાણાં મંત્રી અરુણ જેટલીના ફાળે જાય છે. વર્ષ 2014થી તેઓ સતત આ બિલ પર મહેનત કરી રહ્યાં છે.
બુધવારના રોજ મોદી સરકાર જીએસટી સંબંધિત ચાર બિલો લોકસભામાં પાસ કરવામાં સફળ રહી છે. આ જીએસટી બિલ અંગે છેલ્લા લગભગ 17 વર્ષથી મથામણ ચાલતી હતી. આ 17 વર્ષોમાં જીએસટી મામલે ચાર વ્યક્તિઓનું યોગદાન સૌથી વધુ છે.
અસીમ દાસ ગુપ્તા
વર્ષ 2000મા પહેલી વાર સરકારે નાણાં મંત્રીઓના એક જૂથને જીએસટી બિલ લાવવા માટે નિયુક્ત કર્યા હતા. આ જૂથ પશ્ચિમ બંગાળના નાણાં મંત્રી અસીમ દાસ ગુપ્તાની આગેવાની હેઠળ બનાવવામાં આવ્યું હતું. એમઆઇટીના પ્રવક્તામાંથી માર્ક્સવાદી નેતા બનેલ દાસગુપ્તાએ બીજા રાજ્યો અને ઇન્ડસ્ટ્રીના લોકો તથા સ્ટેકહોલ્ડર્સ સાથે લાંબી વાતચીત કર્યા પછી જીએસટીનું પ્રાથમિક મોડલ તૈયાર કર્યું હતું.
વિજય કેલકર
વિજય કેલકરે FRBM એક્ટ 2003ને લાગુ કરવામાં પરોક્ષ કર અંગે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે વેટના નિયમોને આધારે જીએસટીના નિયમો બનાવવાનું સૂચન કર્યું હતું. નાણાં વિભાગના 13મા અધ્યક્ષ તરીકે વિજય કેલકરે જીએસટીનો પક્ષ લીધો હતો. તેમણે રાષ્ટ્રીય સ્તર પર જીએસટી કાઉન્સિલની રચનાનો પ્રસ્તાવ પણ મુક્યો હતો.
પી.ચિદમ્બરમ
સામાન્ય બજેટમાં પરોક્ષ કરને રિફોર્મ કરવાનો પ્રસ્તાવ મુકનારા પહેલા નાણાં મંત્રી પી.ચિદમ્બરમ હતા. આ પ્રસ્તાવ સૌ પ્રથમ વર્ષ 2006માં આવ્યો. વર્ષ 2012માં ચિદમ્બરમે સતત આ બિલ પર કામ કર્યું તથા ઘણી નાની-મોટી કમિટીઓ બનાવી, જેથી તમામ રજ્યોની ફરિયાદો ધ્યાનમાં લઇ તેનું સમાધાન શોધી શકાય. આ માટે તેમણે ડિસેમ્બર, 2012ની સમયસીમા નક્કી કરી હતી. જો કે, વર્ષ 2014ની લોકસભા ચૂંટણીને કારણે આ બિલ પાસ કરાવવું થોડું મુશ્કેલ બન્યું હતું.
અરુણ જેટલી
દેશમાં સૌથી મોટા ટેક્સ રિફોર્મ માટે ભાજપ પક્ષ શ્રેય લેવા માટે તૈયાર બેઠું છે. પરંતુ આ મામલે સૌથી વધુ શ્રેય નાણાં મંત્રી અરુણ જેટલીને ફાળે જાય છે. તેમણે વર્ષ 2014થી સતત આ બિલ પર મહેનત કરી છે. તેમણે તમામ રાજ્યોના રાજકારણી એજન્ડા તથા હિતોને એક-એક કરીને જીએસટીના પક્ષમાં કર્યા. અરુણ જેટલીએ છેલ્લે સુધી હાર ન માની અને આખરે ઓગસ્ટ, 2016માં જીએસટી માટેનો માર્ગ મોકળો થયો.
અહીં વાંચો