વારાણસી, 1 એપ્રિલ : દેશમાં લોકસભા ચૂંટણી 2014માં અતિ મહત્વની બની ગયેલી વારાણસી બેઠક પરથી ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સામે એક ટ્રાન્સજેન્ડર (કિન્નર) કમલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
કમલા જીવનના છઠ્ઠા દાયકામાંથી પસાર થઇ રહ્યા છે. તેમણે સોમવાર 31 માર્ચના રોજ વારાણસી બેછક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે નામાંકન પત્ર ભરીને નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલને પડકાર ફેંક્યો છે.
વારાણસીના મતદારોને પોતાને વોટ કરવાની અપીલ કરતા તેમણે જણાવ્યું કે 'અરવિંદ કેજરીવાલે દિલ્હીની ગાદી પરથી ઉતરી જવું પડ્યું અને પાછી પાની કરવી પડી. તેમણે જનતાનો વિશ્વાસ ગુમાવ્યો છે. જ્યારે નરેન્દ્ર મોદી હજી પણ 2002ના ગુજરાત રમખાણોના દાગથી પીછો છોડાવી શક્યા નથી. આ સામે મારી છબી બેદાગ છે.'
કમલાએ જણાવ્યું કે વારાણસી ભગવાન શિવની પવિત્ર ભૂમિ છે. ભગવાન શંકરને અર્ધનારિશ્વર તરીકે પણ પૂજવામાં આવે છે. આ સ્વરૂપ શિવ અને તેમના પત્ની પાર્વતીનું સંયુક્ત સ્વરૂપ છે. કિન્નરોને અર્ધનારિશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે. આથી હું અપીલ કરું છું કે મને મત આપવામાં આવે.
કમલા પૂર્વાંચલમાં કિન્નરોના વડા છે. તેમનું કહેવું છે કે અમારી જમાત સૌનું ભલું અને બધાની ખુશી ઇચ્છે છે. જનતા અમને ચૂંટી લાવશે તો અમે વધારે ખુશીઓ આપીશું. આગામી 10 એપ્રિલના રોજ દેશના અંદાજે 20000 કિન્નરો વારાણસીમાં એકત્ર થઇને કમલાને સમર્થન આપશે. ત્યાર બાદ ઝોલી લઇને લોકો પાસેથી મત આપવાની અપીલ કરવામાં આવશે.