UGCના નિર્દેશો તમામ યુનિવર્સિટીઓને લાગુ પડશે : HRD પ્રધાન સ્મૃતિ ઇરાની
નવી દિલ્હી, 23 જૂન : દિલ્હી યુનિવર્સિટીમાં ચાર વર્ષના સ્નાતક કોર્સના મુદ્દે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) અને દિલ્હી યુનિવર્સિટી વચ્ચે વિવાદ સર્જાયો છે. આ વિવાદ વધારે વકર્યો છે ત્યારે આજે કેન્દ્રના માનવ સંસાધન પ્રધાન (એચઆરડી પ્રધાન) સ્મૃતિ ઇરાનીએ પોતાનો મત વ્યક્ત કર્યો છે. સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું છે કે આ મુદ્દે એચઆરડી (હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ) મંત્રાલય કોઇ દખલ કરશે નહીં.
આ સાથે એચઆરડી મંત્રાલયે UGCનો પક્ષ લેતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે દેશમાં શિક્ષણ ક્ષેત્રે UGC સર્વોચ્ચ સંસ્થા છે. આ કારણે દરેક યુનિવર્સિટીઓએ તેમના નિર્દેશ માનવા પડશે.
આજે આ મુદ્દે માનવ સંસાધન પ્રધાન સ્મૃતિ ઇરાનીએ અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી. માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઇરાનીએ યુજીસીના ચેરમેન વેદપ્રકાશ અને સચિવ સાથે બેઠક યોજી હતી. માનવ સંસાધન અને વિકાસ પ્રધાન સ્મૃતિ ઇરાનીએ ત્યાર બાદ જણાવ્યું હતું કે તમામ યુનિવર્સિટીઓ યુજીસીના આદેશનું પાલન કરે.
સ્મૃતિ ઇરાનીએ સ્પષ્ટ કરી દીધું છે કે દિલ્હી યુનિવર્સિટી અને યુજીસી વચ્ચે ચાલી રહેલા વિવાદમાં તેઓ દરમિયાનગીરી નહીં કરે. તેમમે જણાવ્યું કે યુજીસીનો આદેશ માનવા માટે યુનિવર્સિટીઓ બંધાયેલી છે. કારણ કે તે સર્વોચ્ચ સંસ્થા છે.
ઉલ્લેખનીય છે કે યુજીસીએ દિલ્હી યુનિવર્સિટીના ચાર વર્ષના અંડરગ્રેજ્યુએટ કોર્સમાં વિદ્યાર્થીઓને પબ્લિક નોટિસ પાઠવીને એડમિશન નહીં આપવાની સલાહ આપી છે. યુજીસીએ તમામ કોલેજોના પ્રિન્સિપાલને પણ ચિઠ્ઠી લખીને ત્રણ વર્ષની અંદર ગ્રેજ્યુએટ કોર્સમાં જ એડમિશન આપવાનું કહ્યું છે.
આ પહેલા યુજીસીએ દિલ્હી યુનિવર્સિટીને ચાર વર્ષના કોર્સને પાછો ખેંચવા અંગે અલ્ટીમેટમ મોકલ્યું હતું. યુજીસીના જણાવ્યા અનુસાર જો નિર્દેશોનું પાલન કરવામાં ના આવ્યું તો દિલ્હી યુનિવર્સિટીને આપવામાં આવી રહેલા ગ્રાન્ટ (સહાય)ની માન્યતા રદ કરવામાં આવી શકે છે.