NSSO સર્વેઃ બેરોજગારીએ તોડ્યો 45 વર્ષનો રેકોર્ડ, નોટબંધી બાદ 6.1 %એ પહોંચ્યો આંકડો
નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશનના શ્રમ શક્તિ સર્વે પ્રમાણે વર્ષ 2017-18માં બેરોજગારીએ 45 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.
નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશનના શ્રમ શક્તિ સર્વે પ્રમાણે વર્ષ 2017-18માં બેરોજગારીએ 45 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. આ સર્વે પ્રમાણે 2017-18ના નાણાકીય વર્ષમાં બેરોજગારી દર 6.1 ટકા થયો છે, જે વર્ષ 1972-73 બાદ સૌથી વધુ છે. બિઝનેસ સ્ટાન્ડર્ડનો રિપોર્ટ ગુરુવારે જાહેર થયો છે. ઉલ્લેખનીય છે કે આ રિપોર્ટ જાહેર ન થવા પર NSSOના 2 સભ્યો પી. સી. મોહનન અને જે. વી. મીનાક્ષીએ સોમવારે રાજીનામુ આપ્યું હતું. પી. સી. મોહનન NSC કાર્યકારી અધ્યક્ષ પણ હતા. પી. સી. મોહનનને આરોપ લગાવ્યો હતો કે NSCની મંજૂરી છતાંય સરકારે આ રિપોર્ટ જાહેર નથી કર્યો.
નોટબંધી બાદ વધ્યો બેરોજગારીનો દર
બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ પ્રમાણે હજી આ આંકડો જાહેર નથી થયો. શ્રમ શક્તિ સર્વે પ્રમાણે વર્ષ 1972-73 બાદ આ દર સૌથી વધુ છે. ઉલ્લેખનીય છે કે આ આંકડા નવેમ્બર 2016માં નોટબંધી બાદના નાણાકીય વર્ષના છે. એજન્સીના આંકડા જુલાઈ 2017થી જૂન 2018 વચ્ચે એક્ઠા કરાયેલા છે. ગ્રામીણ વિસ્તારોમાં 2107-18માં 15થી 29 વર્ષના પુરુષોમાં બેરોજગારી દર 17 ટકા હતો. 2011-12માં તે 5 ટકા હતો. તો મહિલાઓમાં 2017-18માં બેરોજગારી દર 13.6 ટકા થયો જે 2011-12માં 4.8 ટકા હતો.
શહેરી વિસ્તારોમાં વધી બેરોજગારી
શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર ગ્રામીણ વિસ્તારો કરતા વધુ છે. શહેરી વિસ્તારોમાં નાણાકીય વર્ષમાં 2017-18માં પુરુષોમાં બેરોજગારી દર 18.7 ટકા અને મહિલાઓમાં 27.2 ટકા રહ્યો છે. વર્ષ 2017-18માં શિક્ષિત મહિલાઓમાં ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર 17.3 ટકા હતો, જ્યારે 2004-05થી 2011-12 વચ્ચે 9.7 ટકાથી 15.2 ટકા હતો. ગ્રામીણ વિસ્તારોમાં પુરુષોમાં બેરોજગારી દર વર્ષ 2017-18માં 10.5 ટકા રહ્યો છે જ્યારે 2004-05થી 2011-12 વચ્ચે તે 3.5 ટકાથી 4.4 ટકા વચ્ચે હતો. શ્રમ શક્તિ ભાગીદારી દર એ કામ કરતા લોકો અને નોકરી શોધનાર લોકોની સંખ્યાનો ગુણોત્તર છે. 2011-12માં તે 39 ટકાથી ઘટીને 2017-18માં 36.9 ટકા થયો છે. 2004-05 બાદ શ્રમ શક્તિની ભાગીદારી સતત ઘટી રહી છે. નાણાકીય વર્ષ 2011-12ની સરખામણીએ 2017-18માં આ ઘટાડો ઝડપી હતો. પરંતુ 2009-10ની સરખામણીએ આ ઘટાડો ઓછો છે.
બેરોજગારી મામલે ઘેરાઈ મોદી સરકાર
રોજગારીના મામલે નરેન્દ્ર મોદી સરકાર પહેલેથી જ વિવાદોમાં સપડાયેલી છે. વર્તમાન સરકાર આ મામલે વારંવાર ટીકા પણ સહન કરી ચૂકી છે. નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારની 5 વર્ષમાં પૂરતી રોજગારી ન આપવા મામલે ટીકા થઈ રહી છે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી રોજ કેન્દ્ર સરકારને રોજગારી મુદ્દે ઘેરી રહ્યા છે. તો સરકાર આ ટીકાઓને વખોડતી રહી છે. તેમનું માનવું છે કે સરકારે શરૂ કરેલી યોજનાઓથી લાખો રોજગારી પેદા થઈ છે.