મોંધું પેટ્રોલ ખરીદવાથી તમે ભૂખે તો નથી મરતા ને?: મોદીના મંત્રી
જ્યાં સામાન્ય જનતા પેટ્રોલ ડિઝલના ભાવ વધવાથી મુશ્કેલી અનુભવી રહી છે ત્યાં જ પીએમ મોદીના એક કેન્દ્રીય મંત્રીએ આ પર એક મોટું નિવેદન આપ્યું છે.
એક તરફ જ્યાં પેટ્રોલના ભાવમાં વધારો થવાથી સામાન્ય લોકોની મુશ્કેલીઓ વધી રહી છે ત્યાં જ કેન્દ્ર સરકારના મંત્રીએ તેવું નિવેદન આપ્યું છે જેનાથી મોદી સરકારની મુશ્કેલીઓ ચોક્કસથી વધશે. કેન્દ્રીય મંત્રી અલ્ફોન્સ કન્નાનથાનમે હાલમાં જ પેટ્રોલની વધતી કિંમતો પર એક મોટું નિવેદન આપ્યું છે. પેટ્રોલની વધતી કિંમતો પર બોલતા કેન્દ્રીય મંત્રી અલ્ફોન્સે કહ્યું કે "પેટ્રોલ કોણ ખરીદે છે? તે વ્યક્તિ જેની પાસે કાર, બાઇક છે, ચોક્કસથી આ લોકો ભૂખથી તો મરી નથી રહ્યા અને તે ચૂકવણી કરી શકે છે, તો તેમણે ભાવ ચૂકવવા પડશે" અલ્ફોન્સે આ પહેલા કહ્યું કે અમે અહીં દલિતોના કલ્યાણ કરવા માટે આવ્યા છીએ. દરેક ગામમાં વિજળી આવે, શૌચાલય બને તેવું અમે ઇચ્છીએ છીએ. આ માટે ભારે ખર્ચની જરૂર છે અને તે માટે અમે લોકોની કર લઇએ છીએ. અમે તેવા લોકો પર કર લગાવીએ છીએ જે તેની ચૂકવણી કરી શકે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે આ ભાવ ગરીબોના હિતોને વધારવા માટે જ લગાવવામાં આવ્યા છે.
નોંધનીય છે કે આ પહેલી વાર નથી બન્યું કે તેમણે આવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હોય આ પહેલા જ્યારે કોઇએ તેમને પુછ્યું કે બીફના ઉપયોગથી પર્યટન પર અસર થશે તો તેમને જવાબ આપ્યો હતો કે તે લોકોને કહો કે તેમના દેશમાંથી બીફ ખાઇને ભારત આવે. વળી કેરળમાં પણ બીફ મામલે તેમણે કહ્યું હતું કે ગોવાની જેમ જ કેરળમાં લોકો બીફ ખાઇ શકે છે. નોંધનીય છે કે અલ્ફોન્સ 1979 બેન્ચના કેરળ કેડરના IAS અધિકારી પણ રહી ચૂક્યા છે.