અયોધ્યામાં CM યોગી: મારી વ્યક્તિગત આસ્થામાં વિપક્ષનો હસ્તક્ષેપ બિનજરૂરી
યુપીના સીએમ યોગી આદિત્યનાથ હાલ અયોધ્યામાં છે અને તેમણે અહીં જ કાળી ચૌદસ તથા દિવાળીની ઉજવણી કરી હતી.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાલ અયોધ્યાની મુલાકાતે છે. તેઓ ગુરૂવારે દિવાળીની સવારે અયોધ્યાના સિદ્ધપીઠ હનુમાનગઢી મંદિર પહોંચ્યા હતા અને પૂજા-પાઠ બાદ તેમણે રામ જન્મભૂમિના વિવાદિત પરિસરમાં રામ ભગવાનના દર્શન કર્યા હતા. સાથે તેમણે અયોધ્યાના વરિષ્ઠ સંતો સાથે પણ મુલાકાત કરી હતી. અયોધ્યમાં થયેલ આયોજન અંગે પ્રશ્ન થતાં યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, આ આયોજન મેં નથી કર્યું. આ રીત સદીઓથી ચાલી આવે છે, આ એક પરંપરા છે, જે અનુસાર અહીંના લોકો અને સંતોએ મળીને સંપૂર્ણ આયોજન કર્યું છે.
આ સાથે જ તેમણે વિપક્ષ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ મારી વ્યક્તિગત આસ્થા છે અને મારી વ્યક્તિગત આસ્થાના મામલે વિપક્ષ કઇ રીતે હસ્તક્ષેપ કરી શકે. બીજી વાત એ છે કે મુખ્યમંત્રી તરીકે પ્રદેશના દરેક સ્થળનો વિકાસ કરવાની જવાબદારી મારી છે. સાફ-સફાઇ પર જોર આપતાં તેમણે કહ્યું હતું કે, રામ જન્મભૂમિમાં દર્શન કરનારા દરેક શ્રદ્ધાળુની સુરક્ષા જરૂરી છે. સાફ-સફાઇથી માંડીને તમામ જરૂરી વ્યવસ્થા કરવાની જવાબદારી સરકારની છે. જ્યાં ભગવાન રામ બિરાજમાન છે, તેની આસપાસના ક્ષેત્રની વ્યવસ્થા સુપ્રીમ કોર્ટના નિર્દેશનને આધારે સંબંધિત અધિકારીઓ સંભાળી રહ્યાં છે.
બુધાવરે કાળી ચૌદસના દિવસે સીએમ યોગી અયોધ્યા પહોંચ્યા હતા. ત્યાં આ દિવસને નાની દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. નાની દિવાળીના તહેવાર નિમિત્તે ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. તેમણે અહીં સભા સંબોધન કર્યું હતું અને ત્યાર બાદ દીપ પ્રજ્વલિત ઉત્સવમાં પણ ભાગ લીધો હતો. રામકથા પાર્કમાં સમગ્ર કાર્યક્રમ એ રીતે જ રાખવામાં આવ્યો હતો, જે રીતે ત્રેતા યુગમાં 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરી, રાવણનો સંહાર કરી ભગવાન રામ પુષ્પક વિમાનમાં બેસી અયોધ્યા પહોંચ્યા હતા.