PM મોદીની જ રાહે ચાલી નીકળ્યાં છે CM યોગી...
પોતાના એક મહિનાના કાર્યકાળમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જે રીતે એક પછી એક નિર્ણયો લીધાં છે, એ જોઇ સૌ ચોંકી ઉઠ્યા હતા.
યાદ કરો એ દવિસો, જ્યારે વર્ષ 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ભાજપ ના નેતૃત્વની એનડીએની સરકારની કમાન પોતાના હાથમાં લીધી હતી. વડાપ્રધાન તરીકેનો એક મહિનો પૂર્ણ થયા બાદ તેમણે એક બ્લોગ લખ્યો હતો. આ બ્લોગમાં પીએમ મોદીએ કહ્યું હતું, મને 100 દિવસના હનીમૂન પીરિયડનું સુખ નથી મળ્યું, હું સતત કામ કરી રહ્યો છું, જનતાના હિતમાં નિર્ણયો લઇ રહ્યો છું.
નરેન્દ્ર મોદીની માફક જ યોગી આદિત્યનાથ પણ જ્યારથી ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી પદે બિરાજમાન થાય છે, ત્યારથી તેમણે રાહતનો શ્વાસ નથી લીધો. તેમણે પીએમ મોદીની માફક જ યુપીની જનતા માટે તાબડતોડ નિર્ણયો લીધાં છે, તેમણે લોકોની સગવડને ધ્યાનમાં રાખીને નિર્ણયો લીધાં છે.
યોગી આદિત્યનાથની સરકારના 30 દિવસો પૂર્ણ
યુપીમાં સીએમ યોગીની સરકારે એક માસ પૂર્ણ કર્યો છે. આ એક માસમાં યોગી આદિત્યનાથે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધાં છે. માત્ર 30 દિવસની અંદર સીએમ યોગીએ જે રીતે તાબડતોડ નિર્ણયો લીધાં છે, એ જોઇને રાજકીય ક્ષેત્રે એક ચર્ચાએ જોર પકડ્યું છે. રાકીય તજજ્ઞોનું કહેવું છે કે, યોગી આદિત્યનાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાહ પર જ ચાલી રહ્યાં છે. મુખ્યમંત્રી તરીકેની યોગી આદિત્યનાથની કામગીરી અને તેમના વલણ પરથી આ વાત વધુ પાકી થાય છે.
મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં વાર નહીં
સત્તામાં આવતાની સાથે જ યોગી આદિત્યનાથે એન્ટિ રોમિયો સ્ક્વોડ, ગેરકાયદેસર કતલખાનાઓ વગેરે જેવા મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણયો લીધાં છે. તેમણે આ નિર્ણયો લેવા માટે કેબિનેટ મીટિંગની પણ રાહ નથી જોઇ. તેમના વલણ પરથી સ્પષ્ટ છે કે, મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં તેઓ જરા પણ મોડું નહીં કરે. પીએમ મોદીએ પણ સત્તા સંભાળતા વેંત જ જનતાના હિત માટે અનેક નિર્ણયો લીધા હતા.
પ્રથમ કેબિનેટ મીટિંગ
યોગી આદિત્યનાથે પોતાની પ્રથમ કેબિનેટ મીટિંગમાં જ ભાજપનો વાયદો પૂરો કરતાં ખેડૂતોનું ઉધાર માફ કરતો મોટો નિર્ણય લીધો હતો. તેમણે પહેલી બેઠક બાદ જ લઘુ અને સીમાંત ખેડૂતોને એક લાખ સુધીનું ઉધાર માફ કરવાની ઘોષણા કરી હતી, સાથે જ શેરડી અને ઘઉંની ખરીદી અંગે પણ મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. આ નિર્ણયોનો સીધો લાભ ખેડૂતોને મળે એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. તો બીજી બાજુ પીએમ મોદીની પહેલી કેબિનેટ મીટિંગમાં કાળા નાણાં અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. તે સમયે મોદી સરકાર દ્વારા કાળા નાણાં પણ એસઆઇટી ગઠનનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
બંન્ને નેતાઓની નજર વિકાસ પર
પીએમ મોદીએ જ્યારે દેશના વડાપ્રધાનનું પદ સંભાળ્યું ત્યારે તેમની નજર દેશના વિકાસ તરફ જ મંડાયેલી હતી. યોગી આદિત્યનાથે પણ યુપીના સીએમનું પદ સંભાળ્યા બાદ કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશના વિકાસ માટે જરૂરી નિર્ણયો લેવાશે. તેમણે કહ્યું હતું કે, આપણે સૌ મળીને યુપીનો વિકાસ કરીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ જ સૂત્ર ઉચ્ચારતા જોવા મળે છે, સૌનો સાથ, સૌનો વિકાસ.
મોડી રાત સુધી કામ કરે છે સીએમ યોગી
યોગી આદિત્યનાથની કામ કરવાની પદ્ધતિ પણ ઘણે ખરે અંશે પીએમ મોદીની કાર્યપદ્ધતિ સાથે મેળ ખાય છે. યોગી આદિત્યનાથ મોડી રાત સુધી કાર્યાલયમાં જ વ્યસ્ત રહે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, યોગી આદિત્યનાથ મોડી રાત સુધી ઓફિસમાં કામ કરતા હોય છે. તેઓ આ દરમિયાન અધિકારીઓ સાથે જનતા માટે લેવાના અગત્યના નિર્ણયો અંગે ચર્ચા કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મોડી રાત સુધી કામ કરતા હોય છે.
કર્મચારીઓ અને અધિકારીઓને કડક નિર્દેશ
મોદી વડાપ્રધાનની ખુરશી પર બિરાજમાન થયા કે તરત જ તેમણે સરકારી ઓફિસોમાં કર્મચારીઓને સમયસર હાજર થવાનો નિર્દેશ જાહેર કર્યો હતો. સાથે જ કર્મચારીઓને સમયસર કામ પૂર્ણ કરવાની પણ સૂચના આપવામાં આવી હતી. યોગી આદિત્યનાથે પણ સત્તામાં આવતા વેંત યુપીના સરકારી કર્મચારીઓને કંઇક આવા જ નિર્દેશ આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, કર્મચારીઓ સમયસર ઓફિસ આવે તથા પોતાનું કામ પૂર્ણ થયા બાદ જ ઘરે જાય.
મંત્રીઓને પણ મળ્યાં જરૂરી નિર્દેશ
યોગી આદિત્યનાથે માત્ર સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને જ નહીં, પરંતુ સરકારના મંત્રીઓને પણ જરૂરી નિર્દેશ આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, બેઠક માટે મંત્રીઓ આવે ત્યારે પૂરી તૈયારી સાથે આવે એ જરૂરી છે. મીટિંગ માટે જે સમય નક્કી થયો હોય તેનું પણ ધ્યાન રાખવામાં આવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કેબિનેટના મંત્રીઓ તથા સાંસદોને આ જ રીતના નિર્દેશ આપતાં જોવા મળ્યાં છે.
જનતા સાથે સીધો સંવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનતા સાથે સીધો સંવાદ સ્થાપવામાં વિશ્વાસ કરે છે અને તેઓ સફળતાપૂર્વક આ કામ કરે છે. યોગી આદિત્યનાથે પણ જનતા સાથે સંવાદ સાધવાની આ રીત અપનાવી છે. તેઓ પોતાની વાત સીધી જનતા સામે મૂકે છે. કોઇ નિર્ણયની જાહેરાત કરવાની હોય કે સરકારની કોઇ યોજનાની જાણકારી આપવાની હોય, યોગી આદિત્યનાથ જનતા સાથે સીધો સંવાદ કરવાનું પસંદ કરે છે.
કટ્ટરવાદી હિંદુ નેતા
યોગી આદિત્યનાથની છબિ કટ્ટરવાદી હિંદુ નેતા તરીકેની છે. તેમને સાંસદ તરીકે રાખીને ગોરખપુરમાં હિંદુ યુવા વાહિની બનાવવામાં આવી હતી. જો કે, સીએમ બન્યા બાદ યોગી આદિત્યનાથનું વલણ થોડું નરમ જોવા મળી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશના કોઇ પણ નાગરિકને જાતિ-ધર્મના નામે નિશાના પર લેવામાં નહીં આવે. તમામ વર્ગના લોકોના હિતમાં હોય એવા નિર્ણયો લેવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબિ પણ કેટલેક અંશે હિંદુવાદી નેતા તરીકેની છે.
વિરોધીઓ પર નિશાન સાધવામાં સૌથી આગળ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માફક જ ચોટદાર ભાષણ એ યોગી આદિત્યનાથની ખૂબી છે. વિરોધીઓ પર નિશાન સાધવાનું હોય કે કોઇ મોટા નિર્ણયની જાહેરાત કરવાની હોય, યોગી પોતાની રીતે પોતાનો પક્ષ રજૂ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વિરોધીઓ પર સીધું નિશાન સાધવાની તક નથી ચૂકતાં.